અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસયુટિલીટી

આરોગ્ય, ફાર્મા, કેમિકલ ક્ષેત્રે આપણે વાઇબ્રન્ટ સમિટનાં ફળ મેળવી રહ્યા છીએ: મુખ્યમંત્રી

  • ‘પ્રેગ્મેટિક એપ્રોચ ઈન ન્યુરોલોજી’ વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડૉક્ટર્સનાં વક્તવ્ય અને ચર્ચાસભાનું આયોજન
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો
  • આયુષ્યમાન કાર્ડ ખરા અર્થમાં દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સ્વાસ્થ્ય ગેરંટી: મુખ્યમંત્રી

અમદાવાદ, 24 ડિસેમ્બરઃ શહેરમાં આજે ‘પ્રેગ્મેટિક એપ્રોચ ઈન ન્યુરોલોજી’ વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડૉક્ટર્સનાં વક્તવ્ય અને ચર્ચાસભાનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ થકી આજે દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. પહેલાં નાના માણસ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ મેળવવી આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્યમાન કાર્ડ ખરા અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વાસ્થ્ય ગેરંટી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ન્યુરોલોજી કોન્ફરન્સ સંદર્ભે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસના ધ્યેય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આરોગ્ય, ફાર્મા, કેમિકલ સહિત દરેક ક્ષેત્રે આજે આ ગ્લોબલ સમિટના ફળ આપણે મેળવી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યારે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓના દ્વારે પહોંચી રહી છે અને દરેકે દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેના લાભો હાથોહાથ મળી રહ્યા છે. આ રીતે દેશની વિકાસયાત્રામાં દરેક નાગરિક જોડાશે, દરેકનો સર્વાંગી વિકાસ થશે અને આપણે વિકસિત ભારતના આપણા સંકલ્પને સાકાર કરી શકીશું, એમ તેમણે ઉમેર્યું હતું.

ન્યૂરો અપડેટ_ HDNews
ન્યૂરો અપડેટ_ ફોટોઃ માહિતી ખાતું

આજની આ ન્યુરોલોજી કોન્ફરન્સમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે, એવી આશા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવી વિવિધ કોન્ફરન્સ થકી સરકારને પણ ઘણીવાર પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થતા હોય છે.

આ કોન્ફરન્સ અંતર્ગત ‘પ્રેગ્મેટિક એપ્રોચ ઈન ન્યુરોલોજી’ વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડૉક્ટર્સનાં વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજાશે.

ન્યૂરો અપડેટ_ HDNews
ન્યૂરો અપડેટ_ ફોટોઃ માહિતી ખાતું

આ કોન્ફરન્સમાં NHL મેડિકલ કોલેજના ડીન ડૉ. ચેરી શાહ, શહેરના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર શાહ, અમદાવાદ એસોસિયેશન ઓફ ફિઝિશિયનના સભ્ય ડૉક્ટર્સ તથા અમદાવાદ સહિત દેશભરમાંથી જાણીતા ન્યુરોલોજી ડૉક્ટર્સ, પ્રોફેસર્સ અને ન્યુરોલોજી સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ સહભાગી થયા હતા.

આ પણ વાંચોઃ કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સહિત સમગ્ર નવું કુસ્તી સંઘ સરકાર દ્વારા સસ્પેન્ડ

Back to top button