ગુજરાતટોપ ન્યૂઝ

સ્યુસાઈડ નોટ મુકી ભાવનગરનો RPF જવાન ગુમ

Text To Speech
ભાવનગર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતો આરપીએફ જવાન ગુમ થયો છે. ગુમ થતાં પહેલાં તેણે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. ત્યારે આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉપરી અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, ભાવનગર રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણાં સમયથી આરપીએફ જવાન તરીકે ફરજ બજાવતો મયુરદાન ગઢવી ગત 7 જુલાઈથી ગૂમ થયા છે. મયુરદાન ત્રણ દિવસથી ગુમ થતાં તેના મિત્રો અને પરિવારજનોએ તપાસ કરતા એક નોટ મળી આવી હતી. જેમાં તે ઘર છોડીને જતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત મારા ઉપરી અધિકારીઓ મને વારંવાર હેરાન કરતા તેમજ મને ટોર્ચરીંગ કરે છે. તેમજ મારા માતા-પિતાની તબિયત સારી ન હોવાથી મારી બદલી મારા મૂળ વતનમાં કરવાના બદલે રતલામ ખાતે કરતા હોવાનું તેઓએ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
માતા-પિતા સહિત આખા પરિવારની માફી માંગી
મયુરદાન ગઢવી છેલ્લા 3 દિવસથી ગૂમ થયા અંગે બોરતળાવ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કબ્જે કરેલી નોટમાં ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેણે અંદર માતા-પિતા સહિત પરીવારની માફી પણ માંગી છે. તેમાં લખ્યું છે કે, મારા વ્હાલા બાળકો રીનુ અને સમર જે મને મારી જાનથી પણ વધારે વ્હાલા છે. મારા પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારા માતા- પિતા મને માફ કરજો હું આપ બંને બીમાર હોવા છતાં આપની સેવા ન કરી શકયો તે માટે હું આખા પરિવારની માફી માગું છું.
મુંબઈના અધિકારીને એવું લાગે છે કે, હું આતંકવાદી કરતા પણ ખરાબ છું
નોટમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, પરિવાર અને મારી પત્નીને જણાવવા માગું છું કે હું આરપીએફ અધિકારીઓથી કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું. મારા મુંબઈના અધિકારીને એવું લાગે છે કે, હું આતંકવાદી કરતા પણ ખરાબ છું તેમણે કહ્યું કે, તને જીવનમાં કાંઈ દિવસ રાજકોટ નહીં જવા દઈએ. 2017 થી મને મારા વિભાગ અને તેના અધિકારીઓ હેરાન કરે છે.
ડીજી સાહેબને વિનંતી, મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો
વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ નોટમાં જે અધિકારીઓ હેરાન કરે છે તેમાં સીએચસી શુક્લા, સીએચસી સિંગ સાહેબ તથા સીએચસી સિંહા જે મારી વાતો સાંભળ્યા વગર જ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને પાંચ વર્ષથી પરિવારથી દૂર રાખ્યો છે. કેટલાક ઇન્સ્પેક્ટર છે જેમાં એક એસસી મકરટિયા, સોલંકી, માલસરીયા, બાબુલાલ સોલંકી અને ભાવનગરના પ્રેમચંદ્ર વર્મા મને ખૂબ હેરાન કરે છે, હું મારા ડીજી સાહેબને વિનંતી કરું છું કે, મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો અને મારા પરિવારને ન્યાય આપજો… મારી સાથે મારા આરપીએફ જવાનો મને માફ કરજો આ તમારી સાથે ન બને એટલે આ પગલું ભરુ છું.
લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફે હાથધરી તપાસ
આ અંગે ભાવનગરના એએસપી સફિન હસને જણાવ્યું હતું કે, લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે અને મોબાઈલના લોકેશન ટ્રેક મેળવી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મયુર ગઢવીનો પરીવાર રાજકોટમાં વસવાટ કરે છે અને પોતે ભાવનગરમાં ફરજ બજાવે છે.
Back to top button