અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

ગુજરાતમાં બાયો ડિઝલ પંપ શરૂ કરવાના કૌભાંડમાં તપાસ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ

અમદાવાદ, 21 ડિસેમ્બર 2023, ગુજરાતમાં છેતરપિંડીના અનેક કેસ પ્રકાશમાં આવે છે. જેમાં મોટા માથાઓ છટકી જાય છે અને નાના લોકો પર કાયદાનો કોરડો વિંઝવામાં આવે છે. રાજ્યમાં મોટી મોટી જાહેરાતો આપીને બાયો ડિઝલ પંપ ખોલવા માટે માય ઈકો એનર્જી નામની કંપનીએ લોકો પાસેથી ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ખંખેરી લીધા હતાં. ત્યાર બાદ પંપ નહીં ખોલી આપીને છેતરપિંડી આચરી હતી. આ કંપની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. અન્ય રાજ્યોમાં પણ આ કંપનીના નામે આઠ ગઠિયાઓએ છેતરપિંડી કરી હતી. હૈદરાબાદમાં આ કંપનીના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી અને તેમાં કાર્યવાહી થતાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં થયેલી ફરિયાદમાં માત્ર એક મેનેજર કક્ષાના માણસની અટકાયત કરીને પોલીસે સંતોષ માની લીધો છે. જેથી આ કેસમાં તપાસ અધિકારી સામે શંકાઓ ઉદ્ભવી છે.

ગુજરાત હાઈકોર્ટે કંપનીને નોટીસ ફટકારી હતી
ગુજરાતમાં અનેક લોકોએ માય ઈકો એનર્જી નામની કંપની પાસેથી પંપ ચાલુ કરવા માટે ડિપોઝિટ પેટે લાખો રૂપિયાની રકમ જમા કરાવી હતી. પરંતુ તેમને પંપ ચાલુ નહીં કરી આપી કંપનીના સંચાલકોએ પૈસા પણ પાછા નથી આપ્યા. આ અંગે ડિસામાં 28 મે 2019ના રોજ કંપની સામે એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં ગૌરાંગ ચોકસી નામના શખ્સની અટકાયત કરાઈ હતી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, હૈદરાબાદ જેવા અનેક રાજ્યોમાં આ કંપનીના સંચાલકોએ છેતરપિંડીનું નેટવર્ક ઉભું કર્યું છે. આ સંચાલકો સામે અન્ય રાજ્યોની પોલીસે કાર્યવાહી કરી છે પણ ગુજરાતમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ કેસમાં કલોલના એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરતાં કોર્ટે કંપનીને નોટીસ ફટકારી હતી. પરંતુ હજુ સુધી કંપનીના સંચાલકો સામે કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી હોય તેવુ દેખાયું નથી.

છેક ગૃહ રાજ્ય મંત્રીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી સુધી રજૂઆત
ગુજરાતના કેટલાક વેપારીઓએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, પોલીસ વડા વિકાસ સહાય, તેમજ પાલનપુરના નાયબ પોલીસ અધિક્ષકને એક પત્ર લખીને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમારા જેવા નાના વેપારીઓ સાથે માય ઈકો એનર્જી નામની કંપનીએ મોટી મોટી જાહેરાતો આપીને બાયો ડિઝલ પંપ શરૂ કરવાના નામે છેતરપિંડી કરી છે. જેની ડિસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આ ફરિયાદમાં અનેક સભ્યો ફરિયાદી તરીકે જોડાયા છે. બીજા રાજ્યોમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આ આરોપીઓ સામે આજ સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.

આરોપીઓની નવી ઓફિસ મુંબઈમાં દાદર ખાતે આવી છે
વેપારીઓએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તપાસ અધિકારી આરોપીઓની કંપની સાથે મળી ગયેલા હોવાથી આટલી મોટી છેતરપિંડી હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરી નથી. તે ઉપરાંત કોઈ યોગ્ય તપાસ પણ કરવામાં આવી નથી. આરોપીઓની નવી ઓફિસ મુંબઈમાં દાદર ખાતે આવી છે અને ખુલ્લેઆમ ધંધો કરી રહ્યાં છે. છતાં પણ પોલીસને આરોપીઓ દેખાતાં નથી. બીજા રાજ્યોની પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકતી હોય તો ગુજરાત પોલીસ કેમ નથી પહોંચી શકતી. જેથી આ કેસમાં તપાસ અધિકારી સામે શંકાઓ ઉદ્ભવે છે. આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે. અમે ન્યાયની ઝંખના કરી રહ્યાં છીએ. અમારા જેવા નાના માણસોના પૈસા પચાવી પાડનાર આ કંપનીના સંચાલક આરોપીઓ સામે પગલાં ભરવા અમારી રજૂઆત છે.

કંપનીએ બાયો ડિઝલ પંપ ખોલવા માટે મોટી મોટી જાહેરાતો કરી હતી
ગુજરાતમાં માય ઈકો એનર્જી નામની કંપનીએ બાયો ડિઝલ પંપ ખોલવા માટે મોટી મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતોને કારણે અસંખ્ય લોકોએ કંપનીને પંપ માટે ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ચૂકવ્યા હતાં. પરંતુ કંપનીના સંચાલકો કંપનીના ડિરેક્ટર સચિન સાહેબ્રાહો સહિત જયંત જગન્નાથ, સારિકા શિન્દે, કિશોર ગાયકવાડ,માનસ સંપતરાય, વિકાસ રાય,ફેઝલ શેખ અને ગૌરાંગ ચોકસી, પરાગ કામત અને રીપલ ગાંધીએ નાના મોટા વેપારીઓ અને લોકો પાસેથી ડિપોઝિટ પેટે મળેલા લાખો કરોડો રૂપિયા લઈને પંપ ચાલુ કરવા અંગે જવાબ આપવાનું જ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર કેસમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં આ મુદ્દે અનેક ફરિયાદો થઈ છે પણ તેની સામે માત્ર નાના માણસ સામે કાર્યવાહી કરીને તપાસ અધિકારીઓએ મોટા માણસોને છુટો દોર આપ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

Back to top button