ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુર: સુરક્ષા દળોની મોટી સફળતા, આઠ આતંકવાદીઓ ઝડપાયા

  • પોલીસે મણિપુરમાં આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે
  • તેમની ચુંગાલમાંથી એક વ્યક્તિને છોડાવવામાં આવ્યો છે
  • આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે

મણિપુર, 10 ડિસેમ્બર: છેલ્લા સાત મહિનાથી મણિપુરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ પર પોલીસ સતત નિયંત્રણ કરી રહી છે. મણીપુરમાં સશસ્ત્ર દળો વિરુદ્ધ હિંસક ઘટનાઓમાં ઉગ્રવાદી સંગઠનોની સંડોવણીના દાવા પહેલાથી જ કરવામાં આવી રહ્યા હતા. હવે ધીમે-ધીમે તેમના સાગરિતોની ધરપકડ શરૂ થઈ ગઈ છે.

મણિપુર પોલીસે આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓએ 8 ડિસેમ્બરે એક વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. તેના બીજા જ દિવસે 9 ડિસેમ્બરના રોજ આ આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, 22 વર્ષીય વિદ્યાર્થીને તેમની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

કોલેજની હોસ્ટેલમાંથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું

પોલીસનું કહેવું છે કે, પકડાયેલા આતંકવાદીઓ ઉત્તર-પૂર્વ રાજ્યમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન કંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (PWG)ના સક્રિય કાર્યકરો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની ચુંગાલમાંથી ઝડપાયેલા વિદ્યાર્થીનું નામ લૈશરામ ચિંગલેન સિંહ છે. તેનું શુક્રવારે બપોરે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડીએમ કોલેજ ઓફ સાયન્સની હોસ્ટેલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓના સહયોગીઓએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી અપહરણકર્તાઓએ તેની સુરક્ષિત મુક્તિ માટે લૈશરામના માતા-પિતા પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો, મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

યુવકના માતા-પિતા તરફથી ફરિયાદ મળતાં જ પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે, મોબાઈલ ડમ્પિંગ ટેક્નોલોજી અને લોકેશન ટ્રેકરની મદદથી આ આતંકવાદીઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓએ મોટા પ્રમાણમાં હથિયારો એકઠા કર્યા હતા. ધરપકડ કરાયેલા 8 અપહરણકારો પાસેથી એક ઘાતક રાઇફલ, એક AK-47 રાઇફલ, એક .32 પિસ્તોલ, દારૂગોળો અને 13 મોબાઇલ હેન્ડસેટ મળી આવ્યા હતા.

મણિપુર પોલીસે અલગ-અલગ સર્ચ ઓપરેશનમાં વિવિધ જિલ્લાઓમાંથી હથિયારોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ, ચાઈનીઝ ગ્રેનેડ અને વોકી-ટોકી સહિત દારૂગોળાનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું હતું કે, પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ બાદ તેમના અન્ય સહયોગીઓની શોધ ચાલુ કરવામાં આવી છે. આ સાથે તેમના ઠેકાણાઓ ક્યાં છે, તેમની પાસે હથિયારો ક્યાંથી આવ્યા, તેમણે કેટલા ગુના કર્યા છે વગેરે વિશે સવાલ -જવાબ થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓની ધરપકડ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. આ પછી તેમના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી શકાય છે.

આ પણ વાંચો, ‘સૌને રામ-રામ…’ : CM શિવરાજસિંહના આ ટ્વિટથી મચી હલચલ, શું છે આનો અર્થ ?

Back to top button