ઉદ્ધવ ઠાકરેને ફટકો, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના 66 કાઉન્સિલરો શિંદે જૂથમાં જોડાયા


મુંબઈ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સતત આંચકાઓ વચ્ચે હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) પરનો પોતાનો અંકુશ ગુમાવી દીધો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના શિવસેનાના 66 કાઉન્સિલર એકનાથ શિંદે કેમ્પમાં જોડાયા છે. આ તમામ 66 બળવાખોર કાઉન્સિલરો બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ રીતે શિવસેનાના 67માંથી 66 કાઉન્સિલરોના પક્ષપલટા સાથે TMC પર ઉદ્ધવ ઠાકરેનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મહારાષ્ટ્રમાં સૌથી મહત્વપૂર્ણ નાગરિક સંસ્થા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ નેતા એકનાથ શિંદે દ્વારા બળવો શરૂ થયા બાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેના કારણે મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની મહા વિકાસ આઘાડી સરકાર 29 જૂને પડી ગઈ હતી.
ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યાના એક દિવસ પછી એકનાથ શિંદેએ શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યો અને અપક્ષોના સમર્થન સાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે તેમ છતાં શિવસેનાની રાજકીય કટોકટી હજી પૂરી થતી જણાતી નથી. ઉદ્ધવના વફાદાર અને શિંદે જૂથ બંને દાવો કરે છે કે તેમનો જૂથ મૂળ શિવસેનાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને પક્ષો પાર્ટીના પ્રતીકને કબજે કરવાના દાવા પણ કરી રહ્યા છે.