ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં વધુ નવી 82 એમ્બ્યુલન્સનો વધારો

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 50 નવી 108 એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ 32 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કર્યુ હતું. રાજયનાં નાગરિકોને 24*7 આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, નવી 82 એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. પ્રિ-હોસ્પિટલ કેર સાથે દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સનું અમૂલ્ય યોગદાન રહેલું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી 108 ઇમરજન્સી સેવા 24*7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના અમલી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ તેની ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને એમ્બ્યુલન્સના સ્ટાફને તાલીમ આપવા માટે અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 108 ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ પ્રતિ માસ સરેરાશ 42 લાખ કિ.મીનું સંચાલન કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. 108 સેવાનો વ્યાપ, એમ્બ્યુલન્સના કાફલાની કાર્યક્ષમતા અને ગુણવતા વધે તે માટે જૂની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ અનુસંધાને જૂની થયેલ એમ્બ્યુલન્સોને તબદીલ કરવા માટે કુલ-૫૦ નવી એમ્બ્યુલન્સોનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની વિશેષતા વિશે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સ અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જાય છે અને સમયનો બચાવ થાય છે પરિણામે ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 4200 થી 4400 જેટલા દર્દીઓને કટોકટીના સમયે સેવા પૂરી પાડવામાં આવે છે.

99% જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, 108 નંબર પર આવેલા 99% જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાની સરખામણીએ પણ સૌથી શ્રેષ્ઠ છે. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. ઉપરાંત, 1 કરોડ 53 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 2.17 લાખથી વધુ પોલીસ અને 6.2 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. અત્યાર સુધી 47.9 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.

દરિયામાં 108 એમ્બ્યુલન્સ સેવા બોટ કાર્યરત

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિકટ પરિસ્થિતીમાં મૂકાયેલ 14 લાખથી વધુ મહામુલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. 51.77 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને, 133485 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહેલ છે. 108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન 3 લાખ કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પોરબંદર અને ઓખા ખાતે માછીમારો માટે દરિયામાં 108 એમ્બ્યુલન્સ જેવી મેડીકલ ઈમરજન્સી સેવા બોટ કાર્યરત છે.

ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને EMRI GHS સાથે મળી સંકલિત રીતે ચલાવે છે. આ સેવા હેઠળ કુલ 37 જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવી શકાય તે માટે ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ 108 ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલી છે. આ પ્રસંગે આરોગ્ય કમિશનર શાહમિના હુસેન, NHM ડાયરેક્ટર રેમ્યા મોહન, 108 ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button