ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હવે ડાકોર મંદિરમાં પણ થશે VIP દર્શન, નજીકથી દર્શન કરવા ચૂકવવા પડશે આટલા રુપિયા

Text To Speech

મધ્ય ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ એવા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા શ્રદ્ધાળુંઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાકોરમાં રણછોડરાયજી ભગવાનના મંદિરમાં ઝડપથી દર્શન થઈ શકે તે માટે વીઆઈપી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. રણછોડરાયજીના દર્શન માટે ભક્તોએ ચાર્જ ચૂકવવાનો મંદિર કમિટિએ નિર્ણય કર્યો છે જેમાં VIP દર્શન કરવા ઈચ્છતા પુરુષ અને મહિલા દર્શનાર્થીઓ માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ VIP દર્શન

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં વાર-તહેવારે ભક્તોનું ઘોડાપૂર રહેતું હોય છે. ત્યારે ભીડમાં ઉભા રહેને દર્શન કરવાને બદલે જેને ઝડપથી દર્શન કરવા હોય તે લોકો માટે VIP દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે,જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આજથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે.

જાણો કેટલા રુપિયા ચૂકવવા પડશે

આ નિર્ણય મુજબ ડાકોર મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે, આ સાથે અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે.જેમ કે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે.મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે, પ્રારંભિક તબક્કે VIPદર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે, આ સાથે ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ પણ જણાવવામા આવ્ચું છે.

પ્રથમ દિવસે જ આટલા લોકોએ કર્યા VIP દર્શન

મહત્વનું છે કે આ નિર્ણય જાહેર થયાના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારેજ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારની ઊંઘ ઊડી, રખડતા ઢોર અંગે નવી ગાઈડલાઈન જાહેર

Back to top button