ગુજરાત

આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવાના આદેશ

Text To Speech

ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. તેમજ ૩૦ જૂનથી 2 જુલાઈ સુધી નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.

ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવાના આદેશ આપ્યા હતા. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

રાહત કમિશનર દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.

Back to top button