ગુજરાત

દિકરો હોય તો આવો, માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્રએ 4 જીંદગી બચાવી

  • 10 દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ અંતે નીતાબહેન બારૈયા બ્રેઇનડેડ થયા
  • બ્રેઇનડેડ માતાના અંગોનું દાન કરીને મીલન એ પુત્રધર્મ સાથે માનવધર્મ નિભાવ્યો : હ્રદયદાન મેળવવામાં મળી સફળતા
  • બે કિડની અને એક લીવરનું પણ દાન મળ્યું
ભાવનગરના તળાજા તાલુકાના બારૈયા પરિવાર ઉપર ૧૦ મી જુલાઇએ એકાએક આફત આવી. બારૈયા પરિવારના ગૃહિણી ૩૯ વર્ષીય નીતાબહેનને બ્રેઇનહેમરેજ થયું. સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લાવવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત ૧૦ દિવસ સુધી જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ ૨૦ મી જુલાઇની રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. વાત અહીંયા પુરી થઇ ન હતી ૨૦ મી જુલાઇની રાત સમગ્ર હોસ્પિટલ માટે એક ભાવુક રાત બની રહી.નીતાબહેનને એક પુત્ર છે મીલન. મીલનને બાળપણ થી ખુબ જ લાગણી, વ્હાલ સાથે નીતાબહેને ઉછેર્યો. આ પુત્રને શિક્ષિત બનાવીને પગભર કરવા કોલેજમાં એડમિશન અપાવ્યું. પરંતુ વીધીના લેખ તો કંઇક અલગ જ સ્યાહી થી લખાયા હતા.
બ્રેઇનડેડ થયેલ નીતાબહેનના પુત્રએ તેમના અંગોનું કર્યું દાન
રામાયણમાં વૃધ્ધ માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરનાર શ્રવણનો કિસ્સો તો બધાયે સાંભળ્યો હશે. પરંતુ નીતાબહેનના એકના એક પુત્ર મીલન એ કળયુગના શ્રવણ બનીને કદાચિત સેવાભાવી માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી છે. સિવિલ હોસ્પિટલમાં દસ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થયેલ નીતાબહેનના અંગોના દાનનો નિર્ણય ખુદ તેમના દિકરાએ કર્યો.
માતાનું અંગદાન-humdekhengenews
હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું 
૨૦ વર્ષના જુવાન જ્યોત આ દિકરાના નિર્ણયથી ચાર જીંદગી બચાવી છે. અંગદાન પાછળ મીલનનો આશય ફક્ત એક જ હતો કે માતા એ ખુબ જ વ્હાલ અને પ્રેમપૂર્ણ મને ઉછેર્યો. સેવાભાવ અને જનકલ્યાણના કાર્યો સાથે માનવતાની શીખ આપી. અને જ્યારે તેઓ આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે અન્યોના શરીરમાં તેમનું હ્રદય ધબકે. કિડની અને લીવરની પીડામાંથી પસાર થતા જરૂરિયાતમંદને લીવર અને કિડની મળે. તેવા ઉમદા ભાવ સાથે ભાવનગરના આ શ્રવણ પુત્રએ બ્રેઇનડેડ માતા નીતાબહેનના અંગોનું દાન કર્યું. સિવિલ હોસ્પિટલના તબીબોને હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા પણ મળી. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા.
માતાનું અંગદાન-humdekhengenews
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૩૪ હ્રદયદાન મેળવવામાં સફળતા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૨ અંગદાન થયા. પરંતુ ૧૦ દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ બ્રેઇનડેડ થયેલ માતાના યુવાન પુત્ર એ શ્રવણ બનીને અંગદાન કર્યાની આ પ્રથમ ઘટના છે. જ્યારે તેમના પુત્રએ અંગદાનનો નિર્ણય કર્યો ત્યારે એ ક્ષણ સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ભાવુક બની રહી હતી. આમ તો અત્યારસુધી કુલ ૩૪ હ્રદયદાન થયા છે પરંતુ નીતાબેનના પુત્ર દ્વારા કરાયેલ દાન ખરા અર્થમ હ્રદયપૂર્વકનું દાન હતુ.
Back to top button