ટોપ ન્યૂઝનેશનલ

ભૂતપૂર્વ અમલદારોએ ગૃહમંત્રીને લખ્યો પત્ર; કહ્યું- FCRA લાયસન્સ અંગે NGOની હેરાનગતિ બંધ કરાવો

નવી દિલ્હી: 80થી વધુ નિવૃત્ત અમલદારોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થાઓ (એનજીઓ) સાથે ‘સ્પર્ધાત્મક અભિગમને બદલે સહયોગી અભિગમ’ અપનાવવા હાકલ કરી છે.

તાજેતરના દિવસોમાં અનેક એનજીઓના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) લાયસન્સ રદ કરવામાં અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના પર ચિંતા વ્યક્ત કરતા ભૂતપૂર્વ અમલદારોએ એક ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, “મતભેદ અથવા અસંમતિની દરેક અભિવ્યક્તિને દેશની અખંડિતતા અને સંપ્રભુતાનું સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અથવા જાહેર હિતની વિરુદ્ધ ગણી શકાય નહીં.” તમારા (ગૃહ) મંત્રાલય અને વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓની ક્રિયાઓ એવી શંકાને જન્મ આપે છે કે દેશના સામાજિક-આર્થિક સૂચકાંકોનું સ્વતંત્ર મૂલ્યાંકન અથવા દૃષ્ટિકોણ આવકાર્ય નથી.

ચાર જાણીતી બિન-લાભકારી – કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ (સીએચઆરઆઇ), ઓક્સફામ ઇન્ડિયા, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર) અને સેન્ટર ફોર ઇક્વિટી સ્ટડીઝ (સીઇએસ) ના રદ અથવા સસ્પેન્શનનો ઉલ્લેખ કરતા ભૂતપૂર્વ અમલદારોએ જણાવ્યું હતું કે તેમની પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય ભારતીય સમાજના સૌથી વંચિત વર્ગોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે.

તેમણે કહ્યું કે, “આ સંગઠનોના FCRA લાયસન્સ રદ/સસ્પેન્શન અને ભારત સરકારની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શિક્ષાત્મક પગલાંની શરૂઆત એ FCRA ની ઘોર ખામીયુક્ત જોગવાઈઓનું પરિણામ છે.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે FCRAનો ઉપયોગ કરીને એવું લાગે છે કે ભારત સરકાર નાગરિક સમાજ સંસ્થાઓને વિદેશી સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવાથી રોકવા માંગે છે, જ્યારે ખાનગી ક્ષેત્ર, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા અને રાજકીય પક્ષોને મુક્તપણે વિદેશી ભંડોળ મેળવવાની મંજૂરી આપે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “FCRAની કલમ 3 વિદેશી યોગદાન મેળવતા NGO સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ દ્વારા અભિપ્રાયની મુક્ત અભિવ્યક્તિને વર્ચ્યુઅલ રીતે પ્રતિબંધિત કરે છે. કલમ 5 ભારત સરકારને કોઈપણ સંસ્થાને ‘રાજકીય પ્રકૃતિ’ની જાહેર કરવાની વ્યાપક સત્તા આપે છે, જે તેને વિદેશી યોગદાન મેળવવા માટે અયોગ્ય બનાવે છે. FCRA ની કલમ 7ના દાયરો તેના 2020ના સુધારા દ્વારા સંકુચિત કરવામાં આવ્યો છે, જેથી એક FCRA-રજિસ્ટર્ડ પક્ષમાંથી બીજામાં વિદેશી યોગદાનના ટ્રાન્સફરને પ્રતિબંધિત કરી શકાય. કલમ 12 ‘સાર્વભૌમત્વ, ભારતની અખંડિતતા’ અને ‘જાહેર હિત’ જેવા વ્યાપક શબ્દોનો ઉપયોગ કરીને સરકારને તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપે છે કે વિદેશી યોગદાન કોઈપણ સંસ્થા/વ્યક્તિને મંજૂરી આપવી જોઈએ કે નહીં.

તેમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘એફસીઆરએમાં આ તમામ પ્રતિબંધિત અને અસ્પષ્ટ શબ્દોવાળી કલમોનો ઉપયોગ એવા સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે કરવામાં આવ્યો છે જેઓ આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્વતંત્ર મંતવ્યો લે છે, જે કદાચ સરકારને પસંદ ન હોય.’

ભૂતપૂર્વ અમલદારોએ પણ ઉમેર્યું હતું કે, ‘સ્વૈચ્છિક સંસ્થાઓની સતત હેરાનગતિ તેના પર કલંક લગાડવા સમાન છે. આ સંસ્થાઓ જે કરી રહી છે તે આરોગ્ય, શિક્ષણ, રોજગાર, માનવ અધિકાર, પ્રકૃતિ સંરક્ષણ વગેરેના મહત્વના ક્ષેત્રોમાં સરકારના પ્રયાસોને પૂરક બનાવવા માટે છે. તેઓ એવા વિસ્તારોમાં કામ કરે છે જ્યાં સરકારની પોતાની પહોંચ મર્યાદિત હોય અથવા બિનઅસરકારક છે. સરકારે તેમને હરીફ તરીકે નહીં પણ ભાગીદાર તરીકે જોવું જોઈએ.

FCRAમાં વ્યાપક ફેરફારો માટે હાકલ કરતાં તેમણે કહ્યું કે તેને “પ્રતિબંધિત કાયદાને બદલે વધુ સુવિધાજનક” બનાવવો જોઈએ.

નિવૃત્ત અમલદારો અમિત શાહને વિનંતી કરે છે કે, ‘અમે આશા રાખીએ છીએ કે તમારી સરકાર આ દિશામાં પગલાં લેશે અને તેના નિયંત્રણ હેઠળની એજન્સીઓને ભારતના લોકોને, ખાસ કરીને તેના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગોની સેવા કરતી સંસ્થાઓની બિનજરૂરી હેરાનગતિ રોકવા માટે સૂચના આપશે’.

આ પણ વાંચો : પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનો રસ્તો સાફ; કેબિનેટની લીલી ઝંડી

Back to top button