ગુજરાત

બિપરજોય : રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી મોકૂફ, સમયમર્યાદા લંબાવાઈ

Text To Speech

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્ય સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખી છે. સાથે ટેકાના ભાવથી ખરીદીની સમયમર્યાદામાં વધારો કર્યો  છે. જેમાં લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદા વધુ એક માસ માટે લંબાવાઈ છે.

બિપરજોયને કારણે ટેકાના ભાવે ખરીદી મોકૂફ

‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.15 જૂન-2023 સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા.15 જુલાઈ-2023એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે તેમ, નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

ખેડૂતલક્ષી નિર્ણય -humdekhengenews

સૂચના ન મળે ત્યાં સુધી ખરીદી રહેશે બંધ

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા.14 જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

પરિસ્થિતિ અનૂકુળ થતા ખરીદી થશે શરુ

વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થયેથી નિયત પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે, જેની તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ

Back to top button