કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

2000ની નોટબંધીનાં માહોલ વચ્ચે આ શહેરમાંથી ઝડપાઈ રૂ.500 અને રૂ.100ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ

  • રૂ.23.44 લાખની જાલીનોટ સાથે ત્રણની ધરપકડ
  • રાજકોટ ક્રાઈમ બ્રાંચ તથા એસઓજી અને એલસીબી ઝોન-2ની મોટી કાર્યવાહી
  • કલર પ્રિન્ટરમાં ઓરિજિનલ નોટ સ્કેન કરી તેની ઝેરોક્ષ કરતા હતા

દેશભરમાં હાલ રૂ.2000ની નોટબંધીનાં માહોલ વચ્ચે રાજકોટ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને એલસીબી ઝોન-2ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. રૂ. 500 અને 100ના દરની 23.44 લાખની જાલીનોટ સાથે રાજકોટના ત્રણ શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખસો દ્વારા ઓરિજિનલ નોટને સ્કેન કર્યા બાદ તેની કલર ઝેરોક્ષ કાઢવામાં આવતી હતી ત્યારબાદ તેને બજારમાં વટાવતા હતા.

ક્યાં અને કેવી રીતે દરોડો પાડવામાં આવ્યો ?

આ અંગેની વિગત મુજબ, પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર, તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)એ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા ગેરકાયદે પ્રવૃતીઓ ઉપર અંકુશ રાખવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી ઉપરોકત સુચના અન્વયે રાજકોટ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ હોય જે દરમ્યાન આજરોજ ડી.સી.બી પો.સ્ટે. તથા ઝોન-2 એલ.સી.બી. પીએસઆઈ, તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝોન-2 એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ જેન્તીગીરી રેવતીગીરી ગોસ્વામીને બાતમી મળેલી કે, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પામ સીટી ચોક, નીરા ડેરી ખાતેથી તેમજ મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, બ્લોક નં.1, હોટલ રેડ રોઝ પાછળ, વિશાલભાઇ ગઢીયાના મકાનમાં નકલી ચલણી નોટો છે. ત્યાં દરોડો પાડતા ભારતીય ચલણની બનાવટી ચલણી નોટ જેમાં રૂ.500ના દરની બનાવટી 4622 નોટ, તથા રૂ.100ના દરની બનાવટી 335 નોટ મળી 23,44,500ની નકલી નોટ કબ્જે કરાઈ હતી.

કોણ છે આરોપીઓ ? કોની પાસેથી શું કબજે કરાયું ?

શહેરના સાધુ વાસવાણી રોડ પર દૂધનું પાર્લર ચલાવતા બે શખ્સો પાસે રૂ.500 અને રૂ.100ના દરની જાલીનોટનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા અને એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી. પોલીસે દૂધ પાર્લરમાં હાજર બાલાજીપાર્કમાં રહેતા વિશાલ બાબુ ગઢિયા (ઉ.વ.45) અને પાટીદાર ચોક પાસેના પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વસંત બુદ્ધદેવ (ઉ.વ.39)ને સકંજામાં લઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.500ના દરની 200 નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આ મામલે બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં વિશાલ ગઢિયાએ કેફિયત આપી હતી કે, નકલી નોટનો જથ્થો મોરબી રોડ પરના અમૃતપાર્કમાં રહેતા નિકુંજ અમરશી ભાલોડિયા (ઉ.વ.35)પાસેથી ખરીદ કરી હતી. આ માહિતી મળતાં જ પીઆઇ જાડેજા સહિતનો કાફલો અમૃતપાર્કમાં દોડી ગયો હતો, નિકુંજ ભાલોડિયાના મકાને પહોંચતા જ પોલીસ ચોંકી ઊઠી હતી, નિકુંજ ભાલોડિયાના ઘરેથી પોલીસને રૂ.500ના દરની 4422 તથા રૂ.100ના દરની 335 નકલી નોટ મળી આવી હતી, પોલીસે નિકુંજ ભાલોડિયાને પણ ત્યાંથી ઉઠાવી લીધો હતો.

શા માટે ડુપ્લીકેટ નોટ બનાવવાનો આવ્યો વિચાર ?

પોલીસની આગવીઢબની પૂછપરછમાં નિકુંજ ભાલોડિયા ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે, પોતે અગાઉ પ્રિન્ટિંગનું કામ કરતો હતો, પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી નકલી નોટ બનાવી તેને બજારમાં વહેતી કરવાનો વિચાર આવ્યો હતો, છેલ્લા ત્રણેક મહિનાથી નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું, અને બજારમાં નકલી નોટ વહેતી કરે તેવા શખ્સો શોધી રહ્યો હતો, વિશાલ ગઢિયાને રૂ.35 હજારના બદલામાં રૂ.1 લાખની નોટ આપી હતી, વિશાલ ગઢિયા અને વિશાલ બુદ્ધદેવે જાલીનોટ ગ્રાહકોને આપવાનો અગાઉ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ધારી સફળતા મળી નહોતી. દરમિયાન રૂ.2 હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવા માટે હાલમાં રૂ.2 હજારની નોટ બેંકમાં જમા કરાવવાનું શરૂ થતાં રૂ.2 હજારની નોટના બદલામાં લોકોને રૂ.500 અને રૂ.100ની નકલી નોટ ધાબડવાનું સહેલું બનતા તેવા વિચાર સાથે જાલીનોટ છાપવાનો ધંંધો પૂરપાટ ઝડપે આગળ ધપાવ્યો હતો, જોકે તેમાં સફળતા મળે તે પહેલા પોલીસ આંબી ગઇ હતી. ત્રિપુટીએ અગાઉ મોટો જથ્થો બજારમાં વહેતો મૂકી દીધો હોવાની શંકા સેવાઇ રહી છે અને તે મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી હતી.

 

Back to top button