ગુજરાતટોપ ન્યૂઝ

184 ગુજરાતી માછીમારોની વતન વાપસી| પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય| ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ, જજ એચએચ વર્માનું અહીં પોસ્ટિંગ

ગુજરાત કેડરના 68 જજોની બઢતીને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની બઢતી પર રોક લગાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે 40 જજોને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. પ્રમોશનના દાયરામાં આવતા 28 જજોની બઢતી યથાવત રાખવામાં આવી છે.

SC જસ્ટિસ એમ.આર.શાહ છેલ્લા દિવસે રડી પડ્યા, કહી આ મોટી વાત !

સોમવાર એટલે કે આજે સુપ્રીમ કોર્ટના ચોથા સૌથી સિનિયર જજ જસ્ટિસ એમઆર શાહ માટે તેમના કામનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેઓ રડી પડ્યા અને કહ્યું કે હું નિવૃત્ત થવા વાળો માણસ નથી. જીવનની નવી ઇનિંગ શરૂ કરીશ. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ઔપચારિક બેંચ પર બેઠેલા જસ્ટિસ શાહે તેમના ભાષણના અંતે રાજ કપૂરનું પ્રખ્યાત ગીત ‘જીના યહાં, મરના યહાં’ ગાયું હતું. તેમણે કહ્યું કે હું નિવૃત્તિ લેવા વાળો વ્યક્તિ નથી. હું મારા જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છું.

પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય, ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

ગીરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ આ સાથે જ ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે. જેના કારણે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

62 લાખના જીરાની લૂંટના કેસમાં 2ની ધરપકડ, પોલીસે 540 બેગ રિકવર કરી

62.76 લાખની કિંમતના 135 ક્વિન્ટલ જીરા ભરેલી ટ્રકની બુધવારે કચ્છ જિલ્લાના અંગાર નગર પાસે કથિત રીતે ચોરી થયાના ત્રણ દિવસ બાદ, જામનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જિલ્લાના એક ગામમાં દરોડો પાડી બે ખેડૂતોને ઝડપી લીધા હતા. બંને ખેડૂતોને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બાતમીના આધારે, SOG ટીમે મસ્તીયે ગામમાં એક આરોપી જાફર ખફીના કૃષિ ફાર્મ પરના ઝૂંપડામાં દરોડો પાડ્યો અને જાફર અને અબ્દુલ ખફીની ધરપકડ કરી હતી.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતન વાપસી

પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવનિયુક્ત US એમ્બેસેડર એરિક ગાર્સેટી અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે

ભારતમાં નવનિયુક્ત યુનાઇટેડ સ્ટેટ્સ (US) એમ્બેસેડર એરિક ગાર્સેટીએ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ, જેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અમદાવાદના સાબરમતીમાં આવેલું છે અને તે ઘણી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. તેમના આગમન પર ગાર્સેટીને હાર પહેરાવવામાં આવ્યા હતા અને પરંપરાગત “નમસ્તે” સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાય ગરમી ! અમદાવાદમાં ગરમીને કારણે 590 લોકો બેભાન થયા

આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનની વાત કરવામા આવે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં સૌથી વધુ તપામાન નોંધાયું હતું. ત્યારે આ આગ ઓકતી ગરમીના કારણે અમદાવાદમાં 590 લોકો બેભાન થયા હોવાની ઘટના સામે આવી છે.

Back to top button