ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં પ્રારંભ

  • ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે કરાવ્યો શુભારંભ
  •  શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈભક્તોએ કર્યું પ્રયાણ

પાલનપુર : એક જન્મમાં એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતાં રાજ્યના ઉદ્યોગમંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી બલવંતસિંહ રાજપુતે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 16 મી ફેબ્રુઆરી સુધી ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા પ્રવીણભાઈ માળી, મુખ્ય શાંગ્રાસ્ક મહંતશ્રી ભારદ્વાજગીરી મહારાજ, મહંતશ્રી બટુકેશ્વરભારતી મહારાજ, મહંતશ્રી થનાપતિ વિજયપુરી મહારાજશ્રી સહિતના મહાનુભાવોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ તથા ટિમ બનાસકાંઠા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ ઉપસ્થિત પૂજ્ય મહંતશ્રીઓ દ્વારા વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે રંગેચંગે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ૫૧ શક્તિપીઠ પરિક્રમાના પગથિયે પગથિયે દીવડા પ્રગટાવી અને પુષ્પવર્ષા સાથે માઇભક્તોએ જય અંબેના નાદ સાથે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમી પરિક્રમાનો ઉલ્લાસભેર પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પૃષ્ટભૂમિ અંગે જણાવતાં કહ્યું કે, તમામ 51 શક્તિપીઠમાં સૌથી મોટી પીઠ અંબાજી છે, અહીં માં અંબાનું હૃદય બિરાજમાન છે, તેથી આ પરિક્રમાનું વિશેષ મહત્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ઉત્તર ગુજરાતની ધર્મપ્રેમી જનતા એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા મેળવી શકે એ સ્વપ્ન જોયું હતું. જે અંતર્ગત વર્ષ 2008માં આ 51 શક્તિપીઠના નિર્માણનો પાયો નંખાયો હતો. અને વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આજથી શરૂ થતાં પંચ દિવસીય પરિક્રમા મહોત્સવ ને પગલે યાત્રિકો માટે કરાયેલી સુંદર વ્યવસ્થાઓ માટે મંત્રી એ બનાસકાંઠા વહીવટીતંત્ર , સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને પરિક્રમા મહોત્સવમાં યોગદાન આપનાર તમામનો આભાર માની સુંદર સુવિધાયુક્ત પરિક્રમાના આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર અંબાજી યાત્રાધામના વિકાસ માટે કટિબદ્ધ છે એમ ઉમેરતાં મંત્રી બલવંતસિંહ રાજપુતે તમામ માઇભક્તોને આ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા આહવાન સાથે અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય શાંગ્રાસ્ક મહંતશ્રી ભારદ્વાજગીરી મહારાજે હિંદુ ધર્મ પુરાણોમાં વર્ણિત પરિક્રમાનું મહત્વ જણાવતાં કહ્યું કે, ઉત્તર ગુજરાતની પાવનભૂમિ પર શક્તિપીઠનું નિર્માણ થયું એ ખરેખર 51 શક્તિપીઠના આશીર્વાદથી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને મનોરથને લીધે શક્ય બન્યું છે. આ આધ્યાત્મિક પરિક્રમાનો માર્ગ સરળ બને અને પરિક્રમામાં જોડાતા તમામ માઇભક્તો પર 51 શક્તિપીઠના આશીર્વાદ ઉતરે અને તેમનું જીવન ધન્ય બને , તેમના મનોરથ પૂર્ણ થાય એવા આશિષ પાઠવી સૌ માઇભક્તોને મહંતશ્રીએ પરિક્રમા મહોત્સવની શુભકામનાઓ આપી હતી.

આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ભવ્ય ચામરયાત્રા યોજાઈ હતી. જેમાં એક હજાર કરતાં વધારે માઇભક્તો જોડાયા હતા. આજથી શરૂ થયેલ પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શક્તિયાગ, ભજન સત્સંગ, અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા, જ્યોત યાત્રા, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમો શરૂ થયા છે જેમાં ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુ ભાવિક ભક્તોનો મહેરામણ ઉમટી રહ્યો છે. યાત્રાળુઓની આસ્થાને ધ્યાને રાખતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથમાં સેવા કેમ્પોના સહયોગથી યાત્રાળુઓ માટે પીવાનું પાણી , હેલ્થ સેન્ટર , ચા – નાસ્તા અને ભોજન પ્રસાદ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જૂનાગઢ ગિરનારમાં જેમ ભગવાન શિવજીની પરિક્રમાનો મહિમા છે એવો મહિમા આગામી સમયમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો પ્રસ્થાપિત થાય અને આગામી વર્ષોમાં શ્રદ્ધાળુઓ સ્વયંભૂ આ પરિક્રમામાં જોડાયએ માટે તંત્ર દ્વારા સેવા સુવિધા અને સલામતીની સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, જિલ્લા પોલીસ અધિકારી અક્ષય રાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર. એન. પંડયા, શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, મંદિરના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્મા, ભાદરવી પુનમિયા સંઘોના પ્રતિનિધિઓ, મંથન – દિવ્યાંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ, વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઇભક્તો ઉમટ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર: byju’s એપના નામે છેતરપિંડી, રૂ.78 હજાર ગુમાવ્યા

Back to top button