ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: સરહદી ગામ લોદ્રાણીના રણમાં પહોંચ્યા નર્મદાના નીર, ચાતક નજરે પાણીની રાહ જોતા ખેડૂતોની આશા ફળી

પાલનપુર: નર્મદા યોજના બનાસકાંઠા જિલ્લા માટે રણમાં મીઠી વીરડી સમાન સાબિત થઇ છે. બનાસકાંઠા જિલ્લો કચ્છના રણને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લાના ઘણા ગામડાઓ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા છે. આવા ગામોમાં સૂઇગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આવું જ એક ગામ છે વાવ તાલુકાનું લોદ્રાણી. જ્યાં નર્મદાનું પાણી પહેલીવાર ગામમાં પહોંચ્યું છે.

નર્મદા-humdekhengenews

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 32 કિ.મી.ના અંતરે આવેલું છે. આ વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી ભૂજળ ખારા છે. આ ગામની મુલાકાત લેતાં કચ્છના સફેદ રણમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. આ ગામની આશરે કુલ બે હજાર જેટલી વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે.

નર્મદા-humdekhengenews

પીવાના પાણીના પણ ફાંફા હતા : અગ્રણીઓ

વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઇની સમસ્યાઓનો કાયમી અંત આવશે. લોદ્રાણી ગામના અગ્રણી શ્રવણભાઇ રાણાભાઇ મણવરે જણાવ્યું કે, આજથી આઠ દસ વર્ષ પહેલાં ગામમાં નહેર તો આવી હતી, પરંતું છેવાડાનું ગામ હોવાથી અહીં સુધી પાણી પહોંચતું નહોતું, અહીં તો પીવાના પાણીના પણ ફાંફા હતા પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે અમારી ચિંતા કરી અહીં સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. અમારા ગામના આથમણી નામના તળાવને ભરવાનું કામ નર્મદા નિગમે કર્યુ છે જેનાથી ખેડુતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે.

પ્રથમ વખત જીરાનું વાવેતર કર્યુ : ખેડૂત

લોદ્રાણીના ઠાકરશીભાઇ જેઠાભાઇ દેસાઇએ જણાવ્યું કે, અમારા ગામમાં સરકારે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે એ બદલ સરકારનો આભાર માનું છું. અમે ખેતરમાં પ્રથમ વખત જીરા નું વાવેતર કર્યુ છે. આ રીતે નિયમિત પાણી મળતું રહે એવી સરકારને વિનંતી કરીએ છીએ.

અમારા જીવતે જીવ ગામમાં પાણી પહોંચ્યું : માલધારી

માલધારી માનાભાઇ પાંચાભાઇ રબારીએ જણાવ્યું કે, આ ગામની ૩ હજારથી વધુ ગાયોને ચરાવવાનું કામ કરું છું. સરકારે અમારા ગામમાં નર્મદાના નીર પહોંચાડી ખુબ મોટું સેવાનું કામ કર્યુ છે. અમે પાણી જોઇને ખુબ ખુશ થયા છીએ એટલે સરકારને આશીર્વાદ આપીએ છીએ કે તમે અમારા જીવતે જીવ અમારા ગામમાં પાણી પહોંચાડ્યું.

નર્મદા-humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જોતા લાખો બનાસવાસીઓનું સપનું વર્ષ-૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સાકાર કર્યું હતુ. નર્મદાનાં પવિત્ર નીરથી જિલ્લાનો પશ્વિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો, તે હવે હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે, તે સાથે લોકોની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

ગામની આજુબાજુની જમીનમાં પિયતનો લાભ થયો

નર્મદા નહેરની સપ્રેડા વિશાખાની છેવાડાની સાંકળ 11.593 કિ.મી. માંથી લોદ્રાણી માઇનોર-1 (લંબાઇ-3.01 કી.મી) તથા લોદ્રાણી માઇનોર-2 (લંબાઇ 6.45 કી.મી) કેનાલ દ્વારા લોદ્રાણી તેમજ નાળોદરના કુલ-763 હેક્ટર પિયત વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. આમ ચાલુ રવિ સિઝન- 2022-23 માં લોદ્રાણી માઈનોર-૨ની કુલ લંબાઇ 6.45 કિ.મી. પર આવેલ આથમણી નામના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવ્યું છે. આ તળાવ ભરવાના કારણે લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો લાભ થયો છે. તેમજ મોટા પ્રમાણમાં પશુ-પક્ષીઓને પિવાનું પાણી ઉપલબ્ધ થતાં સાચા અર્થમાં નમામી દેવી નર્મદે નો હેતુ સિધ્ધ થયો છે.

આ પણ વાંચો :પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ પ્રાર્થનાનો વિરોધ કરતા વિવાદ

Back to top button