ઉત્તર ગુજરાત

પાલનપુર : દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલ, બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોથી યોજાયું નિદર્શન

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કરૂણા અભિયાનમાં ઘાયલ પક્ષીઓને અપાઈ સારવાર, આ લોકોનું કરાશે સન્માન 

બનાસકાંઠા વહીવટીતંત્ર અને NDRF વડોદરાની સંયુક્ત મોકડ્રિલ યોજાઇ

રણાવાસ- દાંતીવાડા ડેમ વિસ્તારમાં યોજાયેલ મોક ડ્રિલ દરમિયાન NDRF ની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું. NDRF ના જવાનોની કામગીરી જોઈ ગ્રામજનો દંગ રહી ગયા હતા. અને આપત્તિના સમયમાં જીવનરક્ષક તરીકે ફરજ બજાવતા જવાનોની જોખમી કામગીરીને બિરદાવી તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

NDRF વડોદરા દ્વારા આયોજિત મોકડ્રિલમાં NDRFના આસીસ્ટન્ટ કમાન્ડર વિક્રમ, પાલનપુર મામલતદાર ધર્મેશ કાછડ, દાંતીવાડા મામલતદાર માધવી પટેલ, ડિઝાસ્ટર મામલતદાર બી.વી.પટેલ સહિત SDRF ટીમ, યુજીવીસીએલ, મેડિકલ ટીમ, તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુર - Humdekhengenews

ઈમરજન્સી હેલ્પલાઇન નંબરો હાથવગા રાખવાથી તાત્કાલિક મદદ મળી શકે: સુશીલ પરમાર

પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારે આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પૂર કે કુદરતી આપત્તિના સમયમાં આપણે આપણી જવાબદારી સમજી કોઈના પ્રાણ બચાવવા માટે આગળ આવવું જોઈએ. આ મોકડ્રિલનો ઉદ્દેશ એ છે કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચે એ પહેલાં સ્થાનિકો દ્વારા એ ઘટનાનો ભોગ બનેલાઓને કેવી રીતે બચાવવા અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તે અંગેની માહિતી આપવાનો છે. આ મોકડ્રિલ થકી ગ્રામજનોને પૂર કે ડૂબવાની પરિસ્થિતિમાં કેવા પ્રકારના પગલાં લેવાં તે માહિતી મળી હશે તેવા વિશ્વાસ અને આશાવાદ સાથે તેમણે કુદરતી આપત્તિ સમયે સરપંચ, તલાટી, ઈમરજન્સી સેવા 108, પોલીસ જેવા હેલ્પલાઇન નંબર પર જરૂરી સંદેશા વ્યવહાર કરી જે તે ઘટનાની જાણકારી તાત્કાલિક તંત્ર સુધી પહોંચે જેથી તંત્ર સમયસર મદદ માટે પહોંચી શકે એવી જાગૃતિ કેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

પાલનપુર - Humdekhengenews

કોઈપણ કુદરતી આપત્તિ સામે સ્થાનિકો સજ્જતા કેળવે : NDRF ટીમ લીડર લખનલાલ

NDRF વડોદરા ટીમના લીડર લખનલાલ રઘુવંશીએ સમગ્ર મોકડ્રિલને ઓપરેટ કરી તેનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અમે મોકડ્રિલની સાથે સાથે NDRF દ્વારા સ્થાનિક ગ્રામજનોમાંથી વોલન્ટીયર્સ અને આપદામિત્ર તૈયાર કરવાની ભૂમિકા પણ નિભાવીએ છીએ. કોઈ દુર્ઘટના બને એ પહેલાં એની પૂર્વ તૈયારી માટે કેવી રીતે સજ્જતા કેળવાય એ શિખવવાની સાથે સાથે ઘરવખરી અને વેસ્ટ વસ્તુનો બેસ્ટ ઉપયોગ કરવાની કેટલીક ટેકનિકો શીખવી લોકોને કોઈના પ્રાણ બચાવવા જેવું પુણ્યનું કામ કરવા તત્પર રહેવા અપીલ કરી હતી.

Back to top button