મધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

બાળનગરીમાં સેવા આપતા બાળકોના ભોજન થી લઈને તબીબ સુધીની તમામ વ્યવસ્થાનું અદ્ભૂત આયોજન

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવમાં સૌથી વધુ આકર્ષણ ઉભું કર્યું છે. ‘બાળનગરીએ’ નાનું બાળક હોય કે વડીલ, ગામડાનો રહેવાશી હોય કે વિદેશી, સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી, બધાની પહેલી પસંદગી બાળનગરી જ હોય છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના નજરાણા સમાન આ બાળનગરીનું સંચાલન બાળકો દ્વારા જ થઇ રહ્યું છે. બાળનગરીના જુદા જુદા ત્રણ પ્રદર્શન ખંડમાં રજૂ થતી પ્રસ્તુતિઓ પણ બાળકો દ્વારા જ થાય છે. બાળનગરીમાં કુલ 4500 જેટલા બાળકો અને બાલિકાઓ સમર્પિત ભાવે સેવા આપી રહ્યા છે. મોટાભાગના બાળકો 13 વર્ષથી નાની વયના છે. આટલા નાના બાળકોને એકાદ બે દિવસ નહિ પણ મહિના કરતા પણ વધુ સમય માટે કેવી રીત સાચવવામાં આવે છે એ પણ જાણવા જેવું છે. બાળનગરીના બાળકોની કાળજી માટે જે આયોજન કરવામાં આવ્યું છે એનો અભ્યાસ કરીએ તો મેનેજમેન્ટના ઘણા સિધ્ધાંતો જાણવા અને સમજવા મળે એમ છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

આ પણ વાંચો : ‘To my little friend’ : મહંતસ્વામી મહારાજની બાળકોને શતાબ્દિ મહોત્સવની એક અનોખી ભેટ

જેટલા બાળકો સેવામાં આવ્યા છે તે બધા બાળકોને 5-5 ના જૂથમાં વહેંચી દેવામાં આવ્યા છે. દરેક 5 બાળક દીઠ એક કેરટેકર રાખવામાં આવ્યા છે. આ કેરટેકર એમને સવાર થી જગાડવા થી લઈને સુવાડવા સુધીની બધી જવાબદારી સોંપવામાં આવી છે તેમજ જો કોઈ કેરટેકર બીમાર પડે છે અથવા બીજા કોઈ કારણથી સેવા ન આપી શકે તેમ હોય તો તેની જગ્યાએ બીજા સ્વયંસેવકને કેરટેકર તરીકે સેવા આપવામાં આવે છે. આ માટે રિઝર્વ કેરટેકર પણ રાખવામાં આવ્યા છે. કેરટેકર બાળકોને સમજી શકે અને સારી રીતે સાચવી શકે એ માટે 1000 કરતા વધુ કેરટેકરને તાલીમ પણ આપવામાં આવી છે. દરેક કેરટેકર પાસે એને જે પાંચ બાળકોની જવાબદારી સોંપવામાં આવી હોય તે બાળકોના માતા-પિતાના મોબાઈલ નંબર હોય અને બાળકોના માતા-પિતા પાસે કેરટેકરના મોબાઈલ નંબર હોય જેથી બાળકોને પરિવાર સાથે કે પરિવારને બાળકો સાથે વાત કરવી હોય ત્યારે સરળતાથી વાત કરી શકે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

સેવામાં રહેલા તમામ બાળકો માટે નાનામાં નાની વ્યવસ્થાનો વિચાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો છે. બાળકોને આપવામાં આવતી નીચે મુજબની સુવિધાઓનો ટૂંકો પરિચય જ આપણને સમજાવી જાય છે કે અહી બાળકોનું કેવું ધ્યાન રાખવામાં આવે છે.

1. શિક્ષણની વ્યવસ્થા

સેવામાં આવેલા બધા જ બાળકોની શાળાઓ ચાલુ છે કારણકે અત્યારે વેકેશન નથી એટલે ઘણા લોકોને એવું થાય કે આ બાળકો શાળા છોડીને સેવામાં આવ્યા છે માટે એમનો અભ્યાસ બગાડતો હશે. પરંતુ નહી, આ બાળકો શાળામાં ચાલતા અભ્યાસક્રમમાં પાછળ ન રહી જાય તે માટે બાળકોના નિવાસ્થાન પર જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યાં બાળકો માટે શાળા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં બાળકો માટે 10 વર્ગખંડો અને બાલિકાઓ માટે 8 વર્ગ ખંડો ઉભા કરવામાં આવ્યા છે જ્યા બાળકોને દિવસના બે કલાક વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મહત્વના વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. બાળકો શાંતિથી અભ્યાસ કરી શકે એટલે ઉતારામાં અલગથી રીડીન્ગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. કેટલાક બાળકો તો સ્ટેજ પરથી પરફોર્મન્સ પૂરું કરીને આવે નીચે આવે અને બીજું પરફોર્મન્સ કરવા જવાનું હોય એ વચ્ચેના સમયમાં પણ ડાન્સના ડ્રેસ સાથે જ વાંચવા-બેસી જાય.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

2. રમત-ગમતની વ્યવસ્થા

બાળકના જીવનમાંથી રમત-ગમતની બાદબાકી કરી નાખો તો એનું બાળપણ મુરઝાઈ જાય. બાળનગરીમાં સેવામાં આવેલા બાળકો રમતગમતની મજાથી વંચિત ન રહે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. બાળકો માટે એના નિવાસ સ્થાન પર જ જુદી જુદી ઇન્ડોર ગેમ સાથે આઉટડોર ગેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આઉટડોર ગેમ માટે મોટા મેદાનની જરૂર પડે એ સ્વાભાવિક છે. આંતરરાષ્ટ્રિય ઉત્સવનું આયોજન થતું હોય અને લાખો લોકો મુલાકાતે આવવાના હોય ત્યારે જગ્યાના નાનામાં નાના ટુકડાનો પણ મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી લેવો તેની વિચારણા થતી હોય છે. આવા સંજોગોમાં પણ બાળકોના રમતગમતના મેદાન પર કાપ મુકવામાં નથી આવ્યો.

3. ઉતારાની વ્યવસ્થા

4500 બાળકો અને એના 1000થી વધારે કેરટેકરની રહેવાની વ્યવસ્થા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જ કરવામાં આવી છે. બાળકોને વધારે ચાલવું ન પડે એટલે એમના ઉતારાની વ્યવસ્થા બાળનગરીથી નજીક જ કરવામાં આવી છે. બાળકો માટે યોગીહદય-1માં અને બાલિકાઓ માટે યોગીહદય-2માં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે જ્યારે આપણું ઘર બનાવીએ ત્યારે ચિલ્ડ્રન રૂમને બાળકોને ગમે એવી રીતે સજાવીએ છીએ તેવી જ રીતે બાળકો માટેના ઉતારાનું ઇન્ટિરિયર બાળકોને ગમે એવા પ્રકારનું રાખવામાં આવ્યું છે. તમામ બાળકોને સાબુ,શેમ્પુ, ટૂથપેસ્ટ, ટુથબ્રશ, દાંતિયો, તેલ, ક્રીમ વગેરે તમામ વસ્તુઓની એક કિટ તૈયાર કરીને આપી છે. બાળકોને બીજી કોઈપણ વસ્તુની જરુરુ પડે તો તે માટે એમના ઉતારાની જગ્યાએ જ કન્ઝ્યુમર સ્ટોર પણ રાખ્યો છે. બાળકોના ઉતારા માટે મોટા ટેન્ટ તૈયાર કાર્ય છે જેમાં એક ટેન્ટમાં 6 ગ્રુપને રાખવામાં આવે છે. દરેક ગ્રુપના 5 બાળકો અને 1 કેરટેકર મળીને 36 વ્યક્તિ ઉપરાંત એક ટેન્ટ લીડર પણ હોય છે જે એના ટેન્ટમાં રહેલા 36 વ્યક્તિઓની બધી જ વ્યવસ્થા સંભાળે છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

4. ભોજનની વ્યવસ્થા

બાળકોના ભોજનની યોગ્ય વ્યવસ્થા એક મોટી ચેલેન્જ હોય છે. કારણકે હાલ શિયાળાના ઋતુ અને બાળકોના વિવિધ પર્ફોર્મન્સને લઈને તેમની એનર્જી અને આરોગ્ય જળવાઈ રહે સાથે સાથે બાળકોને ભાવે પણ ખરી આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ભોજન બનાવામાં આવે છે. અહીંયા બાળકોના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે એટલે બાળકોને હળદળ વાળા દૂધ સાથે ઉકાળા પણ આપવામાં આવે છે પરંતુ એની સાતે સાથે બાળકોને પસંદ પડે એવું ભોજન પણ આપવામાં આવે છે. બાળકને મજા આવે એવું ભોજન હોય પણ એમાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખવામાં આવે એટલે સ્વાસ્થ્ય પણ જળવાય અને મજા પણ આવે. પ્રોટીનની યોગ્ય માત્રા જળવાઈ રહે એટલે બાળકોને પૂરતી માત્રામાં કઠોળ પણ આપવામાં આવે છે. જે બાળકો પરફોર્મન્સ કરતા હોય એમની એનર્જી જળવાઈ રહે એટલે બે પરફોર્મન્સની વચ્ચે એનર્જી ડ્રિન્ક આપવામાં આવે અને સમયાંતરે નાસ્તો પણ આપવામાં આવે. સમગ્ર પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળકોની ભોજનશાળા એકમાત્ર એવી ભોજનશાળા છે જે રાતના 12.30 વાગ્યા સુધી ચાલુ હોય છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

5. મેડિકલ વ્યવસ્થા

બાળકો બીમાર પડે કે કોઈ શારીરિક તકલીફ હોય તો સારવાર આપવા માટે બાળકો અને બાલિકાઓના ઉતારામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા છે જ્યા નિષ્ણાંત ડોક્ટરો સેવા આપે છે. સૌથી પહેલી પ્રાથમિકતા તો એ જ હોય છે કે બાળકો બીમાર જ ન પડે. આ માટે નિષ્ણાત ડોક્ટરો સતત તકેદારી રાખે છે. થોડા દિવસ પહેલા જ્યારે અચાનક ઠંડી વધી ગઈ તો તુરત જ બાળકોના તમામ કેરટેકરની મિટિંગ બોલાવવામાં આવી અને ઠંડીની બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તેના માટે શું ધ્યાન રાખવું તે અંગે તમામ કેરટેકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળનગરીમાં રજુ થતા જુદા જુદા શો પૈકી ‘ધ જંગલ ઓફ શેરુ’ માં બાળકોએ જુદા જુદા પ્રાણીઓની ભૂમિકા ભજવવાની હોવાથી પ્રાણીઓની જેમ ચાલવાથી અને અભિનય કરવાથી અમુક સ્નાયુ થોડા ખેંચાતા હોય છે. સામાન્ય રીતે એનાથી કોઈ વાંધો ન આવે પરંતુ બાળકોને સહેજ પણ તકલીફ ન પડે તે માટે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરને બોલાવીને આ શોમાં પરફોર્મન્સ આપતા બાળકોના કેરટેકરને ખાસ તાલીમ આપીને જુદી જુદી 8 કસરતો શીખવવામાં આવી જેથી બાળકો એકદમ રિલેક્ષ ફીલ કરે.

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

6. બાળકોના પ્રશ્નો સાંભળવાની વ્યવસ્થા

બાળનગરીમાં સેવા આપતા તમામ બાળકો, પછી એ જુદા જુદા શોમાં પરફોર્મન્સ આપવાની સેવા કરતા હોય કે બાળનગરીમાં સ્વયંસેવક તરીકે સેવા આપતા હોય તમામ બાળકો મહોત્સવને મનભરીને માણી રહ્યા છે. બાળ સહજ સ્વભાવને કારણે જો ક્યારેક કોઈનું મન મૂંઝાઈ તો મૂંઝવણ દુર કરવા અને પ્રેરણા આપવા માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે. આ કામ માટે જેમણે ચાઈલ્ડ સાઇકોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરી છે એવા ડો. માનસી ચોટાઈ એના 12 સભ્યોની ટીમ સાથે સેવા આપી રહ્યા છે. બાળકો આ મોટીવેટરોની ટીમ સાથે પોતાના સામાન્ય પ્રશ્નો ઉપરાંત પોતાના ઘણા એવા અંગત પ્રશ્નોની પણ ચર્ચા કરે છે જે પ્રશ્નોની ચર્ચા એણે એના માતા-પિતા સાથે ક્યારેય ન કરી હોય. આખા દિવસની સેવા અને પરફોર્મન્સ બાદ બાળકો રાત્રે સારી ઊંઘ લઇ શકે એ માટે સુતા પહેલા બધા જ બાળકોને 15 થી 20 મિનિટ જુદી જુદી એકટીવીટી સાથે ખુબ ધમાલ મસ્તી કરાવવામાં આવે છે જેથી બાળકો ગાઢ નિંદ્રાની મજા લઇ શકે.

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવ - Humdekhengenews

બાળકોએ પરફોર્મન્સ આપવાનું હોય તો પણ ભલે અને સેવા કરવાની હોય તો પણ ભલે બધા માટે બે શિફ્ટ ગોઠવવામાં આવી છે. જેથી બાળકોને થાક ન લાગે. એક ગ્રુપ બપોર પહેલા સેવા આપે અને બીજું ગ્રુપ બપોર પછી સેવા આપે. જે બાળકોને ગાઈડ તરીકે સેવા સોંપવામાં આવી છે એવા દરેક બાળક દીઠ એક કેરટેકર ફાળવવામાં આવ્યા છે જેથી બાળક એકલું ન રહે. આખા નગરમાં તમને ક્યાંય કોઈ બાળક એકલું જોવા નહિ મળે આમ બાળકોની સલામતીની પણ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button