ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ : આદિવાસી ગૌરવ દિન, જાણો પ્રમુખ સ્વામી મહારાજે તેમના માટે શું કર્યું હતું ?

આજે ‘આદિવાસી ગૌરવ દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજનગરમાં એક વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના અનેકવિધ ધાર્મિક, ઓદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓની સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને અધ્યાત્મબળથી આદિવાસી બંધુઓના ઉત્કર્ષ માટે રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં અવિસ્મરણીય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત હતા. આદિવાસી ભાઈઓમાં પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજ તેઓને સ્વજન માનતા. આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની ભેટ આપી. આદિવાસી છાત્રાલય, શાળા પરિસરો અને ફરતાં દવાખાનાઓ દ્વારા તેમની કરુણા સદા આ વનવાસી ભાઈઓ તરફ વહેતી રહી હતી.

વર્ષ 1977 અને 1979માં અનેક ગામડાઓ ખુંઘ્યા હતા

આદિવાસી ઉત્કર્ષ કાજે સન 1977 માં સાબરકાંઠામાં પ્રમુખસ્વામી મહારાજે 45 ડિગ્રી ગરમીમાં 91 ગામોમાં અને સન 1979 માં 21 દિવસમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 95 ગામોમાં અભૂતપૂર્વ વિચરણ કર્યું હતું. અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનોમાં ડૂબેલા અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા હતા.

આદિવાસીઓ માટે થયેલા કાર્યોનું વર્ણન કરાયું

આ તકે BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના ભગીરથ કાર્યને વર્ણવ્યું હતું. ‘ટીંબલી’ આદિવાસી નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં વંદના કરવામાં આવી હતી. ઉપરાંત BAPS ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનનયન સ્વામીએ ‘વનવાસીઓના વનમાળી પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વનવાસીઓ પર કરેલી સ્નેહવર્ષાને વર્ણવી હતી. ત્યારબાદ ‘આદિવાસીઓના ઉદ્ધારક પ્રમુખસ્વામી મહારાજ’ વિડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી.

આજની પ્રોફેશનલ કોન્ફરન્સમાં ઉપસ્થિત મહેમાનોએ શું કહ્યું?

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે આજે યોજાયેલી પ્રોફેશનલ કોન્ફરન્સમાં અનેક મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં આ મહાનુભાવો દ્વારા પોતાના વક્તવ્યમાં શું કહેવામાં આવ્યું હતું તેના અંશો નીચે મુજબ છે.

સમીર અરોરા, (President, NAR)

“જેવી રીતે સમુદ્રની આગળ માનવને પોતાની અલ્પતાનું જ્ઞાન થાય છે તેમ મેં ભલે રિયલ્ટર્સની અનેક પરિષદોમાં ભાગ લીધો છે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતાને નિહાળ્યા પછી મને અલ્પતાની પ્રતીતિ થાય છે. જેવી રીતે BAPS સંસ્થા સ્વયંસેવી સંસ્થા છે તેવી જ રીતે NAR સંસ્થા પણ સ્વયંસેવાની ભાવનાથી પ્રેરિત છે.”

ડૉ રાધાકૃષ્ણન પિલ્લાઈ

“હું જ્યારે MBA કરી રહ્યો હતો ત્યારે 1995 માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવના ઉત્સવમાં મને BAPS સંસ્થાનો સર્વપ્રથમ પરિચય થયો. આજે 100 વર્ષની ઉજવણીમાં તેથી પણ વધુ ભવ્યતા છે. દયા, પવિત્રતા અને દિવ્યતા આ સ્થાનમાં વ્યાપી રહી છે, જેને બાહ્યદૃષ્ટિથી સમજી શકાય તેમ નથી. એક શિક્ષક તરીકે હું 100 માંથી 400 માર્કસ આપું! ફક્ત મારી વાત સાંભળીને નહીં પરંતુ અહી આવીને અનુભવ કરવા જેવો છે. ઇમારત હોય કે મંદિર, શ્રેષ્ઠ ગુણવત્તાનું હોવું જોઈએ. એવી ઇમારત બાંધો કે 2000 વર્ષ પછી પણ લોકો યાદ કરે. આપણે કેવી રીતે વિચારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ શરીરને આપણે છોડીએ એ પહેલાં ભારતને મહાન બનાવવો તે આપણી જવાબદારી છે. ”

શ્રી શિવકુમાર (President Elect, NAR)

“વિશ્વનો પ્રત્યેક માનવી એક વૈશ્વિક નાગરિક છે અને મારો બંધુ છે. BAPS સંસ્થા પણ આ જ સિદ્ધાંતને વરેલી છે.”

શ્રી હર્ષવર્ધન જૈન

“પ્રમુખસ્વામી મહારાજ નગરના આ પવિત્ર સ્થાન પર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મળ્યું તેને હું મારુ સદભાગ્ય માનું છું. મહંતસ્વામી મહારાજનાં દર્શને તેમના મુખ પર અનેરી આધ્યાત્મિક આભાનો મેં અનુભવ કર્યો. વિલફ્રેડ પરેટો ના 80%-20% નિયમ અનુસાર આપણે એવા 20% કાર્યો પર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા જોઈએ જેમાંથી મહત્તમ સફળતા મળે.“

આજની અકેડેમિક કોન્ફરન્સમાં થઈ આ ચર્ચાઓ

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે આજે યોજાયેલ અકેડેમિક કોન્ફરન્સમાં The Role of Saints in the Empowerment of Scheduled Tribes વિષય ઉપર સેન્ટર ફોર સિવિલાઈઝેશનલ સ્ટડીઝ, દિલ્લી, વનવાસી કલ્યાણ આશ્રમ અને BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. જેમાં સેન્ટર ઓફ સિવિલાઈઝેશનલ સ્ટડીઝના ડિરેક્ટર રવિ શંકરે જણાવ્યું આ સમગ્ર આયોજનમાં લાગેલા પુરુષાર્થ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો. આદિવાસી પરંપરાઓ અને દંતકથાઓ વિષે અનેક પુસ્તકો લખનાર એવા સુવિખ્યાત ભગવાનદાસ પટેલે પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આદિવાસીઓના ઉત્કર્ષકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન શ્રી હર્ષ ચૌહાણે જણાવ્યું, “ફક્ત માહિતી પૂરતી નથી, પરંતુ અનુભવ જરૂરી છે. સંત સમાજ ભેદભાવોને ઓગાળવામાં મદદ કરી શકશે. આદિવાસીઓ પણ આપણા જ ભાઈઓ છે, આ ભાવના કેળવીને તેમને અપનાવવાના છે. હું આશાવાદી છું કે આપણે આ દિશામાં આગળ વધી શકીશું.”

વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ શ્રી રામચંદ્ર ખરાડીએ જણાવ્યું, “જન-જાતિ સમાજ પહેલેથી ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજ એક એવા સંત હતા જેઓ સતત અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહ્યા. આવા કાર્યમાં સમાજને જાગૃત અને શિક્ષિત કરવા સંત સમાજની મહત્વની ભૂમિકા છે. આપણે જાતિના ભેદ ભુલાવીને રાષ્ટ્રના ઉત્થાન માટે સામૂહિક રીતે આગળ આવવું પડશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલ ઘરસભાનો સંદેશ ખૂબ અગત્યનો છે. આપણે જે પણ કંઈ વાંચીએ, વિચારીએ, લખીએ તે કેવળ પાશ્ચાત્ય વિચારથી પ્રભાવિત ન હોય તે અગત્યનું છે.”

પ્રસ્થાનત્રયી ભાષ્યના સર્જક મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા જણાવવામાં કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ સહજ અને સરળ હતા. આદિવાસીઓએ પ્રમુખસ્વામી મહારાજને જે પણ ધર્યું તે સર્વે પ્રેમથી આરોગ્યું. કપરી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓને જોઈને પ્રમુખસ્વામી મહારાજની આંખો કરુણાથી છલકાઈ ઉઠતી. એ પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ જ હતો જે તેમને આદિવાસી સમાજની મદદ કરવા દોરી ગયો.”

BAPS ના પૂ. જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું, “17 વર્ષ પહેલાં વલસાડમાં એક આદિવાસી ડ્રાઇવરને મળવાનું થયું જેમણે તેમના જીવનમાં પ્રગતિનો સંપૂર્ણ શ્રેય પ્રમુખસ્વામી મહારાજને આપ્યો. સર્વને લાગતું કે કે પ્રમુખસ્વામી મહારાજ તેઓના સાચા મિત્ર હતા.”

જાણીતા લેખક રાજીવ રંજને રામકૃષ્ણ મિશન દ્વારા છત્તીસગઢમાં હાથ ધરવામાં આવેલી આદિવાસી કલ્યાણ પ્રવૃત્તિની ઉલ્લેખ કર્યો.

હિતાભિલાશ મોહંતી(લૉયર) એ જણાવ્યું , “સંતનું કાર્ય ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી ભક્તિ અને તપશ્ચર્યા દ્વારા સમાજના ઉત્થાન કાજે જીવવું તે છે.”

અતુલ જોગએ જણાવ્યું કે,“ પ્રમુખસ્વામી મહારાજે સૌને કોઈ ભેદબુદ્ધિ વગર અપનાવ્યા. આપણે ત્યાં એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે કે સંતો છેવાડાના માનવી સુધી નથી પહોંચી શક્યા અને માત્ર બહારથી આવેલા કેટલાક લોકોએ જ કાર્ય કર્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સંતોએ સૌમાં આત્મગૌરવ બક્ષ્યું છે.”

Back to top button