ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, આજ સવારથી લોકો માટે રિવરફ્રન્ટ વોકવે બંધ

Text To Speech

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે જેના પગલે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાંમાં છોડવામાં આવશે. નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાનું હોવાથી સાબરમતી રિવરફ્રન્ટના વોક વેને આજે સવારે 9.30 વાગ્યાથી લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. લોઅર પ્રોમીનાડ પર સાબરમતી નદીનું પાણી આવવાની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોને રિવરફ્રન્ટ પર ન જવા સૂચના આપવામાં આવી છે.

લોકોને રિવરફ્રન્ટ તરફ ન જવા અપીલ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ કે પટેલે જણાવ્યું હતું કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. 76 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થશે. પાણી લોઅર પ્રોમીનાડ પર આવી જવાની શક્યતાને ધ્યાનમાં રાખી સાવચેતીમાં પગલે આજે સવારે 9.30 વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના છેડા પર લોઅર પ્રોમીનાડને બંધ કરવામાં આવ્યો છે જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી વહી ન જાય ત્યાં સુધી આ વખતે લોકો માટે બંધ રાખવામાં આવશે. લોકોને રિવરફ્રન્ટ તરફ ન જવા માટે અપીલ કરવામાં આવે છે.

પાંચ દિવસ પહેલાં જ 1 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું
પાંચ દિવસ પહેલા ધરોઈ ડેમમાંથી બે દિવસમાં એક લાખ ક્યૂસેકથી વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નદીમાં પાણીની આવક થઈ હતી. સામાન્ય દિવસો કરતા સાબરમતી નદીનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સાબરમતી નદી બંને કાંઠે રિવરફ્રન્ટ વોક વેથી નીચલા ભાગ સુધી પાણી પહોંચી ગયા હતા. જોકે લોઅર પ્રોમીનાડ સુધી પાણી પહોંચ્યા નહોતા. સાબરમતી નદીમાં પૂજા કરવા માટે કેટલીક જગ્યાએ જે ભાગ બનાવવામાં આવ્યો છે તેમાં પાણી ફરી વળ્યા હતા. વર્ષ 2017 બાદ સાબરમતી નદીમાં આટલી મોટી માત્રામાં પાણીની આવક જોવા મળી હતી.

પાંચ વર્ષ બાદ ફરી સાબરમતી છલોછલ
વર્ષ 2017માં જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક થતાં ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે અમદાવાદ પહોંચ્યું હતું ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે ઉપર પાણી ફરી વળ્યા હતા. આખો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો હતો. સાથે સાથે સાપ સહિતના જીવજંતુઓ પણ તણાઈ આવ્યા હતા. આજે ફરી એકવાર એ જ રીતે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી જોવા મળી હતી પરંતુ આ વખતે રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી ફરી વળે તેના માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી ઝડપથી ધોળકા તરફ આગળ વધી ગયું હતું.

Back to top button