ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લાના 270 ગામોમાં 640 લાભાર્થીઓને પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરાવાયો

પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સમગ્ર રાજ્યમાં રૂ. 1946 કરોડના ખર્ચથી નિર્મિત 42,441 આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને રૂ.2452 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર ટાઉન હોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે પ્રધાનમંત્રી શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લાના 270 ગામોમાં 640 લાભાર્થીઓએ પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરીને સુખી જીવનની શરૂઆત કરી છે.


આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, વ્યક્તિના જીવનમાં રોટી, કપડાં અને મકાનનું ખુબ મહત્વ હોય છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો છે. આ સરકારે લોકોની આવશ્યકતા જાણીને કોરોના કાળમાં લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે લોકોને રહેવા ઘર હોય તેવી જ રીતે સ્વચ્છ પીવાનું પાણી મળે તેની ચિંતા કરીને પાણી પુરવઠાની અનેક યોજનાઓ અમલી બનાવી છે. કસરા- દાંતીવાડા પાઇપલાઈન યોજનાનું કામ પૂર્ણ થવાના આરે છે. બાલારામ ચેકડેમ બનવાથી પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાનું નિવારણ આવશે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો દરેક વિચાર રાષ્ટ્રના વિકાસ માટે છે. આપણે સૌ શાંતિથી સુખી જીવન જીવી શકીએ એની ચિંતા આ સરકાર કરે છે.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખે જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ અને શહેરી આવાસ યોજનામાં 270 ગામોમાં 640 લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ- 24,000 થી વધુ લાભાર્થીનો પાકા મકાનનો લાભ અપાયો છે તથા શહેરી વિસ્તારમાં 2,000 કરતા વધુ લાભાર્થીઓને મકાન સહાય અપાઈ છે.આ પ્રસંગે ઉપસ્થિત લોકોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં પાલનપુર નગરાપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢીયાર, અગ્રણીઓ શ્રેયાંશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પટેલ, કોકિલાબેન પંચાલ, ઉષાબેન જોશી, જયેશભાઈ ચૌધરી, અતુલ જોશી, અશ્વિન સક્સેના સહિત પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લાના છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ, અત્યાર સુધી 212166 બોરી રાયડાની આવક

Back to top button