કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ

જામનગરમાંથી 600 લીટર ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો

Text To Speech

જામનગર, 8 જાન્યુઆરી : જામનગરમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ.2.05 લાખના ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ.2.05 લાખની કિંમતનો આશરે 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો મળ્યો

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.

કુલ 550 લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો

પેઢીના માલીક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ 06 નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો 120 લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો 100 લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો 300 લી. મળી કુલ 550 લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Back to top button