હૈદરાબાદમાં 5.4 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરાયાં, જાણો શા માટે?

- 5.01 લાખ નવા મતદારોને ઉમેરવામાં આવ્યા: ચૂંટણી અધિકારી
નવી દિલ્હી, 19 એપ્રિલ: હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે, જ્યાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી બીજેપીના ઉમેદવાર માધવી લતા સામે ફરી ચૂંટણી લડી રહ્યા છે. મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન, જિલ્લા ચૂંટણી પંચે મતદાર યાદીની ચોકસાઈ તેમજ મુક્ત અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેવાની જાહેરાત કરી છે. આ સાથે હૈદરાબાદના જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે પાંચ લાખથી વધુ મતદારોના નામ મતદાન યાદીમાંથી કાઢી નાખ્યા છે જ્યારે નવા પાંચ લાખ નામ ઉમેર્યા પણ છે.
મતદાર યાદીમાંથી પાંચ લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, “જાન્યુઆરી 2023થી હૈદરાબાદ જિલ્લાની 15 વિધાનસભા મતવિસ્તારમાં મૃત, ડુપ્લિકેટ(નકલી) અને સ્થળાંતરીત થયેલા મતદારોને દૂર કરવાના સંદર્ભમાં, કુલ 47141 મૃત મતદારો, 439801 સ્થાનાંતરિત મતદારો અને 54259 ડુપ્લિકેટ મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ECIની સૂચનાઓને અનુસરીને, કુલ 5,41,201 મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.”
ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “મતદાર યાદીમાં લગભગ પાંચ લાખ નવા મતદારોને ઉમેરવામાં આવ્યા છે. સઘન સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટિસિપેશન-SVEEP) ઝુંબેશ અને મતદાર જાગૃતિ કાર્યક્રમોના ભાગ રૂપે, ઘણા લાયક વ્યક્તિઓની પણ મતદાર યાદીમાં નોંધણી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં, જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં કુલ 5,01,604 મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.”
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “મતદાર યાદીના શુદ્ધિકરણ દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે મતદાર યાદીમાં ઘણા મતદારોના ઘરના નંબર બિન-માનક હતા. આવા મતદારોને ઓળખવા માટે એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને હૈદરાબાદ જિલ્લામાં સુધારા કરવામાં આવ્યા હતા. કુલ આવા 1,81,405 મતદારોની ઓળખ કરવામાં આવી છે અને તેમના ઘરના નંબરો સુધારવામાં આવ્યા છે.
2019ની લોકસભા ચૂંટણીમાં, ઓવૈસીએ 5,17,471 મતો મેળવીને સીટ જાળવી રાખી હતી, જ્યારે ભાજપના તત્કાલીન ઉમેદવાર ડૉ. ભગવંત રાવ 2,35,285 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.
આ પણ જુઓ: મતદાન LIVE: ઉત્તરાખંડમાં મતદારે EVM તોડ્યું, મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ, 3 ઘાયલ