ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

પાલનપુર વાયબ્રન્ટ સમિટમાં 382 કરોડના MOU, બનાસ ડેરી દ્વારા 2100 કરોડના રોકાણની જાહેરાત

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બનાસકાંઠા: દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘વાયબ્રન્ટ ગુજરાત– વાયબ્રન્ટ બનાસકાંઠા’’ સમિટ યોજાઇ હતી. જેમાં ૨૧ જેટલાં ઔધોગિક એકમોએ રૂ. ૩૮૨.૯૦ કરોડના એમ.ઓ.યુ કર્યા હતા. જેનાથી ૧૧,૩૩૬ લોકોને ઘરઆંગણે રોજગારી મળશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા રૂ. ૨૧૦૦ કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. જેના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે. જેનાથી ૧૦૯૪ જેટલી રોજગારીની તકો ઉભી થશે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બનાસવાસીઓને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી શરૂઆત થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છે. આવનારો સમય બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ખુબ મહત્વનો ગણાવી અધ્યક્ષએ કહ્યું કે, આ જિલ્લાના યુવાનોમાં આગવી આવડત અને કુનેહ છે. આ જિલ્લામાં ખુબ મોટી ઓપરર્ચ્યુનિટી સાથે અહીંના રણમાં ગ્રીન હાઇડ્રોજન છે. જે આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લાને સુખી- સમૃધ્ધ જિલ્લો બનાવશે. તેમણે કહ્યું કે, એક સમયે આરબ દેશોમાં માત્ર રણ હતું, એમને ખબર જ નહોતી કે આ જમીનની નીચે ખનીજ તેલના ભંડારો પડ્યા છે એવી જ રીતે આપણા જિલ્લાનું રણ ગ્રીન હાઇડ્રોજનનું હબ છે. રાજ્ય સરકારની સોલાર પોલીસીથી આ વિસ્તારની કાયાપલટ થઇ શકે છે એમ જણાવી તેમણે કહ્યું કે, આ જિલ્લામાં જે વિસ્તારમાં પાણી નથી ત્યાંના ખેડુતો પોતાની જમીન સોલાર કંપનીઓને ૨૦ કે ૨૫ વર્ષ સુધી ભાડે આપીને તેમની પાસેથી સારી આવક મેળવી શકે છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૫૦ વર્ષમાં જે વિકાસ થયો છે એટલો જ વિકાસ માત્ર પાંચ વર્ષના ટુંકાગાળામાં થયો છે. બનાસ ડેરીને રૂ. ૪,૦૦૦ કરોડના ટર્નઓવરે પહોંચતા ૫૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જ્યારે છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૦૦૦ કરોડનું ટર્નઓવર થયું છે એ મેનેજમેન્ટને કારણે શક્ય બન્યું છે. બનાસ ડેરીમાં જાપાનની TQM તાલીમ પધ્ધતિથી તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આજે દેશ અને દુનિયામાંથી લોકો મેનેજમેન્ટ શિખવા બનાસ ડેરીમાં આવે છે. દૂધમાંથી પ્રોટીન અલગ કરી શકાય એવી વિશ્વનો સૌપ્રથમ પ્રોટીન પ્લાન્ટ બનાસ ડેરીમાં શરૂ કરવામાં આવ્યો છે. જાપાનની મારૂતિ સુઝુકી કંપનીએ બનાસ ડેરી સાથે રૂ. ૨૫૦ કરોડના એમ.ઓ.યુ કર્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી વર્ષ-૨૦૨૭ સુધીમાં ભારતનો ડબલ ગ્રોથમાં વિકાસ થશે જેનાથી દેશની ઇકોનોમી બદલાઇ જશે.

અધ્યક્ષએ કહ્યું કે, આવનારા સમયમાં ફૂડ સાથે જોડાયેલી તમામ વસ્તુઓની ખુબ માંગ રહેવાની છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાની બાજરી, મગ, મઠ, મકાઇ અને બંટીની વિવિધ પ્રોડક્ટ બનાવીને તેનું વેલ્યુ એડીશન કરી નિકાસ કરવામાં આવે તો ખેડુતોને ફાયદો થશે. આ જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે રૂ. ૨૦૦૦ કરોડ કરતા વધુની રકમ પાણીની યોજનાઓ માટે મંજૂર કરી છે. આ જિલ્લામાં ટુરીઝમના વિકાસની પણ ખુબ ઉજળી તકો રહેલી હોવાનું જણાવી અધ્યક્ષએ કહ્યું કે, અહીં નડાબેટના રણની સાથે સાથે જંગલ સફારી કરી શકાય એ માટે જેસોરનું રીંછ અભ્યારણ્ય આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનો વિકાસ આધુનિકતા સાથે આધ્યાત્મિક રીતે થાય, પ્રકૃતિના સંવર્ધન સાથે માટી બચાવો અને વન વિસ્તાર વધારવાના લક્ષ્ય સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતએ જણાવ્યું કે, ગુજરાત આજે વિકાસક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ઉત્પાદન ક્ષેત્રે ૧૮ ટકાના સહયોગ સાથે ગુજરાતનો દેશભરમાં નિકાસ ક્ષેત્રે ૩૩ ટકાનો ફાળો છે. ગુજરાતનો જી.ડી.પી. માં ૮.૪ ટકાનો ફાળો છે. દેશભરમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ રાજ્ય છે. છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ રોજગારી પુરી પાડનાર રાજ્ય ગુજરાત છે. લોસ્ટીજીસ્ટક પાર્કની સ્થાપનામાં પણ ગુજરાત નંબર વન છે.

આ પ્રસંગે કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક્સપોર્ટ- ઇમ્પોર્ટના સેશનનું પણ આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે, માન. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં વધારો થયો છે. લોકોને શુધ્ધ ખાવાનું મળે અને ખેડુતોને પુરતા ભાવ મળે તે માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આજે યોજાયેલ વાયબ્રન્ટ સમિટથી જિલ્લાના ઔધોગિક વિકાસને વેગ મળશે.

આ સમિટમાં ઉધોગ, બેંકીગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની ઔધોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમિનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન અને પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. તેમજ B2B, B2C તથા B2G બેઠકો યોજાઇ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને 18 વર્ષ પુરા કરનાર દરેક મતદાર માટે અનોખી ઝુંબેશ

Back to top button