

હાલમાં રાજ્યભરમાં કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા તમામ હોસ્પિટલોને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે કે, હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ અને હોસ્પિટલમાં ગ્લાસ ન હોવા જોઈએ. જેના મુદ્દે ડૉક્ટરો પણ કંટાળી રહ્યા છે.
જેના પગલે ગુજરાતભરના તબીબોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટરોને પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેની સામે નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.
જો કે સરકારની જે રજુઆત છે તેમાંથી ટેકનિકલ રીતે કેટલીક બાબતો શક્ય જ નથી. જેમ કે ICU એવી જગ્યાએ હોવી જ્યાં લોકોની અવરજવર ઓછી હોવી જોઈએ. પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર જો ICU હોય તો દર્દીઓના મૃત્યુ વધુ થઈ શકે છે. ગ્લાસ કાઢવાનો કોઈ તર્ક નથી. આ હાસ્યાસ્પદ નિર્ણય લેવાયો છે.ગુજરાત હાઈકોર્ટ અને કોર્પોરેશનને વિનંતી છે કે અમને સાંભળે.
ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચ દ્વારા કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે. ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.