

પ્રધાનમંત્રી મોદીના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી 27મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી GCERT દ્વારા 2 વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરવામાં આવી છે.

દાહોદ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પીએમ મોદીની પુસ્તક “Exam Warrior”નું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે.