ગુજરાતમધ્ય ગુજરાત

2 કોલેજે ગુજરાત યુનિવર્સિટીની ઉપરવટ જઈને એડમિશન ના આપ્યા છતાં હજુ કોઈ કાર્યવાહી નહીં

Text To Speech

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક ગ્રાન્ટેડ કોલેજોએ કોલેજ બંધ કરવા મંજૂરી માંગી હતી, જે યુનિવર્સીટીએ આપી નહોતી. ત્યારબાદ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ પરંતુ 2 કોલેજે એડમિશન પ્રક્રિયા પણ ના કરી અને વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા નથી. જેની સામે યુનિવર્સિટીએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હવે પ્રક્રિયા પૂર્ણ થતાં યુનિવર્સિટી કોલેજને નોટિસ મોકલશે.

ગુજરાત યુનિવર્સીટીમાં 20 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રક્રિયા અગાઉ જ ગ્રાન્ટેડ કોલેજે બંધ કરવા અરજી કરી હતી. જેને ગુજરાત યુનિવર્સિટીએ નામંજૂર કરી છે. જો કે અરજી કરનાર કોલેજ પૈકીની પાલડીની પી.ટી.ઠક્કર કોલેજ અને સાબરમતીની સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ જ નથી આપવામાં આવ્યો. કોલેજ પાસે સ્ટાફ ના હોવાને કારણે કોલેજ એડમિશન પ્રક્રિયા જ કરી નહોતી, જ્યારે યુનિવર્સીટીએ શરૂઆતમાં જ નિર્ણય કર્યો હતો કે, કોઈ પણ કોલેજની બંધ કરવાની અરજી મંજૂર કરવામાં આવી નથી જેથી કોલેજે પ્રવેશ આપવાનો રહેશે.

યુનિવર્સિટીના નિર્ણયથી ઉપરવટ જઈને પણ 2 કોલેજે એડમિશન આપ્યા નથી. એડમિશન પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂરાં થઈ ગયા છે અને હવે ગુજરાત યુનિવર્સીટી એડમિશન ના આપનાર બંને કોલેજ અંગે સરકાર સાથે પરામર્શ કરીને કોલેજની નોટિસ ફાટકાવરનું કહી રહી છે. જો કે હવે નોટિસ આપવાનો પણ કોઈ અર્થ રહેતો નથી કારણ કે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે મોટા ભાગના વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે.

સરકારની નીતિના કારણે જ ગ્રાન્ટેડ કોલેજ બંધ થવા જઈ રહી છે. એક તરફ ગ્રાન્ટેડ કોલેજને જરૂરી સ્ટાફ આપવામાં આવતો નથી જેના કારણે હવે ગ્રાન્ટેડ કોલેજ બંધ થવાના આરે છે. બીજી બાજુ કોલેજ બંધ કરવા માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવતી નથી. આમ સરકારના બેવડાં વલણના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને પણ ગ્રાન્ટેડ કોલેજની જગ્યાએ ખાનગી કોલેજમાં એડમિશન લઈને મોંઘી ફી ભરવી પડી રહી છે.

Back to top button