ગુજરાતટોપ ન્યૂઝ

સુરતના 18 વર્ષીય યુવકનું હૃદય અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં ધબકતું થયું, જાણો કેવી રીતે

ડોનેટ લાઈફ સંસ્થાએ વર્ષ 2022ના અંતિમ દિવસે સુરતથી વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલથી કરાવ્યું છે. જેમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી 43માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં હિરલ વિજયભાઈ મહીડા ઉ.વ 18ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

surat

સુરત ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામશે

કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલ હૃદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં કોલ્ડવેવની આગાહી, ગુજરાતમાં જાણો ક્યા પડી સૌથી વધુ ઠંડી

જાણો ઘટનાની વિગત:

મોરાભાગળ, રાંદેર રોડ, સુરત મુકામે રહેતો હિરલ 29 ડિસેમ્બરના રોજ સવારે ઘરેથી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો. ત્યારે સવારે 10:30 કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ મોટરબાઈક પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો, તેને તાત્કાલિક નજદીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો હતા. 30 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ.ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું

ઇન્દોરમાં ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કાનના જીતુભાઈ બેગાનીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હિરલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલની સાથે રહી હિરલના પિતા વિજયભાઈ, માતા અલ્કાબેન, બેન રીયા, જીજાજી સુનીલ ભારૂડકર, ગજાનંદ ઈંગલે અને તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. હિરલના માતા-પિતા અલ્કાબેન અને વિજયભાઈએ જણાવ્યું કે અમે ખુબ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હિરલના પિતા સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.

અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. સુરતની મહાવીર હોસ્પીટલના ડો. નિરજ કુમાર, ડૉ. સંદીપ સિંહા, ડૉ જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડો. ધર્મેશ ધાનાણી, ડૉ. સુનીલ કુમાર સિંગ, ડૉ. અનુરાગ શ્રીમાલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. મિતુલ શાહ, ડૉ. પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું છે.

દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પિટલમા ડો. અન્વય મુલે, ડૉ.જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો

કિરણ હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી 85 ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યા છે. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ત્રેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

Back to top button