

દારુબંધીવાળા રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાતા 24 લોકોનાં મોત થયા છે. પ્રશાસન અને પોલીસના કેટલાંક અધિકારી દ્વારા હપ્તા ખાવામાં હોવાથી ગુજરાતમાં દારુ બેરોકટોક વેચાય છે. જેના દુષપરિણામે બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 24 લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાંકની હાલત ગંભીર છે.તો આટલો મોટો કાંડ સર્જાયા બાદ હવે તબેલે તાળા મારવા જતા સોમવારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ઉલ્લેખનીય છે કે, દેશી દારૂમાં મિથેનોલના કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો અને તેને કારણે મોત નીપજ્યા હતા.

ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બાદ રાતથી જ રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 24એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

કેટલાંકને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે
હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ SP-DYSP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.
અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો, રોજીદ સહિત 3 ગામમાં વેચાયો
ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. જે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ પણ ATS દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.

નોંધનીય છે કે, ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.
FSL દ્વારા તપાસ શરૂ
FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.