146મી રથયાત્રા: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે અગ્ર સચિવ મૂકેશ પુરી, ડીજીપી વિકાસ સહાય, ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, સ્થાનિક ધારાસભ્યોમાં કૌશિક જૈન, અમિત શાહ તથા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હર્ષ સંઘવી 16 કિલોમીટરના સમગ્ર રૂટની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા.જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા રથયાત્રાના રૂટના એક બાદ એક પડાવો પસાર કરતી આગળ વધી હતી. રૂટ પર આવતા અનેક ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણના દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જ્યાંથી પોલીસ કાફલો પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તાઓ પર “કોમી એકતા ઝીંદાબાદ”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ”, “જય રણછોડ, માખણચોર”ના નારા લગાવવામાં આવ્યા હતા. જેનાથી આખોય રુટ પર ભક્તિમય માહોલ બની ગયો હતો.
રથયાત્રાના મહત્ત્વના પડાવ એવા તંબુ ચોકીમાં સામાજિક આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25,000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસઆરપી/સીઆરપીએફ, છ હજાર હોમગાર્ડ મળી કુલ ૨૫ હજારથી વધુ જવાનો સુરક્ષાનો મોરચો સાંભળશે.
સમગ્ર બંદોબસ્તમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિહર્સલ કર્યું છે. ૧૫થી વધુ વિભાગો સાથેનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થનાર છે એ તમામ સ્થળો પર સલામતીલક્ષી 360 ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી. આમ, રથયાત્રા પહેલાની આ ‘સલામતી યાત્રા’ ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બની રહી હતી.