
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વિવાદોમાં રહેલા 1984 બેચના IAS ઓફિસર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સસ્પેન્ડેડ IAS અધિકારી શર્માને એક નવા કેસમાં ફરીથી જેલમાં જવું પડ્યું છે. તાજેતરના કેસમાં, શર્મા પર કચ્છના કલેક્ટર તરીકેના તેમના 2004-2005ના કાર્યકાળ દરમિયાન અમૂલ્ય ભાવે જમીન ફાળવવાનો આરોપ છે. જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું હતું. આ નવો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત CIDએ ગયા રવિવારે ફરી તેમની ધરપકડ કરી હતી. છેલ્લા 15 વર્ષમાં સસ્પેન્ડેડ IAS શર્મા વિરુદ્ધ આ 12મો કેસ નોંધાયો છે.સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા 2003 થી 2006 સુધી કચ્છ જિલ્લાના કલેક્ટર હતા. આ દરમિયાન તેમણે ગેરરીતિ આચરી હતી તે કેસમાં શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ નવેમ્બર 2004 અને મે 2005 વચ્ચેના સમયગાળા સાથે સંબંધિત છે. ગુજરાત સરકારમાં લાંબા સમયથી અમલદાર રહેલા પ્રદીપ શર્મા માટે આ પહેલી મુશ્કેલી નથી. અગાઉ તેમણે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો અને સીબીઆઈ સાથે ઈડીની તપાસ અને કાર્યવાહીનો પણ સામનો કર્યો છે. 2014માં એસીબીએ શર્માની કોર્પોરેટ ગ્રુપ પાસેથી 29 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શર્માએ 2004માં એક જૂથને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે જમીન આપીને સરકારને રૂ. 1.2 કરોડનું નુકસાન કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળોનો અંત, જાણો શું છે સમગ્ર મામલો !
પ્રદીપ શર્માના ભાઈ કુલદીપ શર્મા, જેઓ અમદાવાદના છે, તેઓ આઈપીએસ અધિકારી હતા. બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા. શર્માએ તેમની સામે નોંધાયેલા કેસ પર ઘણી વખત મૌન તોડ્યું છે. તેઓ કહે છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. પ્રદીપ શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2013માં જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત જાસૂસીનો મામલો સામે આવ્યો ત્યારે મીડિયામાં આ મામલાની પાછળ પ્રદીપ શર્માનો હાથ હોવાનું કહેવામાં આવ્યું હતું. જે તે સમયે આ સમગ્ર મામલો ખૂબ ચગ્યો હતો. શર્માએ જાસૂસી કેસની તપાસ અને એફઆઈઆર નોંધવાની માગણી કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શર્માએ તે સમયે મોદી વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
આ પણ વાંચો : અંબાજી પ્રસાદ વિવાદમાં નીતિન પટેલની એન્ટ્રી, શું ફરી મળશે મોહનથાળ ?
રસાયણશાસ્ત્રના સ્નાતક પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાઓની પરીક્ષા પાસ કરી અને 1981માં ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. શર્માને 1999માં IAS તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર હતા. આ પછી રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા અત્યાર સુધી વિવિધ કેસમાં 4 વર્ષ 7 મહિનાથી જેલમાં રહી ચૂક્યા છે.છેલ્લા ઘણા વર્ષોથી કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહેલા પ્રદીપ શર્માની 6 જાન્યુઆરી, 2010ના રોજ કલેક્ટર તરીકે ભુજમાં જમીનની ફાળવણીના સંબંધમાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ભાવનગરમાં કોર્પોરેશનના કમિશનર હતા. બે દિવસ પછી, 8 જાન્યુઆરી, 2010 ના રોજ, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2008માં પહેલી એફઆઈઆર બાદ શર્મા વિરુદ્ધ એક પછી એક અનેક એફઆઈઆર નોંધવામાં આવી હતી. જે બાદ એફઆઇઆરનો સિલસિલો યથાવત છે.